‘મેચ જીત્યા એ મહત્વનું, કેટલી વિકેટ પડી એ નહીં…’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?

પુણે: ભારતીય સશસ્ત્ર દળોએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર(Operation Sindoor)માં પાકિસ્તાનને મોટું નુકશાન પહોંચ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને ભારતના 6 ફાઈટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો હતો, શરૂઆતમાં ભારતે આ દાવા ફગાવી દીધા હતાં. પરંતુ તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ(Anil Chauhan)એ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાને ભારતના ફાઈટર જેટ તોડી પાડ્યા હતાં, પરંતુ તેમણે સંખ્યા જણાવી ન હતી. આજે CDS જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદના સંઘર્ષ અંગે વધુ કેટલાક ખુલાસા કર્યા હતાં.
મંગળવારે CDS જનરલ અનિલ ચૌહાણે પુણે યુનિવર્સીટીમાં ‘ફ્યુચર વોર્સ એન્ડ વોરફેર્સ’ વિષય પર એક વ્યાખ્યાન આપ્યું હતું. લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતને થયેલા નુકસાનને સમજાવવા માટે તેમણે ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું. CDS ચૌહાણે કહ્યું કે ટેસ્ટ મેચમાં, તમે ઇનિંગ્સથી જીતો છો, પછી કેટલી વિકેટ પડી હતી તેનો પ્રશ્ન નથી રહેતો.
‘નુકસાન વિશે વાત કરવી યોગ્ય નથી.’
વ્યાખ્યાન દરમિયાન CDS અનિલ ચૌહાણે કહ્યું, “જ્યારે મને આપણી બાજુના નુકસાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મેં કહ્યું કે આ મહત્વપૂર્ણ નથી. માત્ર પરિણામો અને તમે કેવી રીતે કામ કરો છો એ મહત્વપૂર્ણ છે. નુકસાન વિશે વાત કરવી વધારે યોગ્ય નથી. ધારો કે તમે ક્રિકેટ ટેસ્ટ મેચમાં રમો છો, અને તમે ઇનિંગ્સથી મેચ જીતો છો, તો પછી કેટલી વિકેટ, કેટલા બોલ અને કેટલા ખેલાડીઓ છે તેનો કોઈ પ્રશ્ન નથી.”
પાકિસ્તાનને થયેલા નુકસાનનો ડેટા બહાર પાડવામાં આવશે:
તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનને થયેલા નુકસાન વિષે ડેટા બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું “ટેકનિકલ પરિમાણોના આધારે, અમે આ ચોક્કસ ડેટા બહાર પડીશું અને તમારી સાથે શેર કરીશું. અમે તમને જણાવીશું કે અમે કેટલા વિમાનોનો નાશ કર્યો અને કેટલા રડારનો નાશ કર્યો. અમે નુકશાનનું અંદાજિત મૂલ્યાંકન કરીશું અને ટૂંક સમયમાં તે જાહેર કરીશું.”
આ પણ વાંચો – પાકિસ્તાનનું કબુલનામું: ભારતે 9 નહીં, આટલા સ્થળોએ હુમલા કર્યા હતાં
યુદ્ધ માનવ સંસ્કૃતિ જેટલું જૂનું છે:
CDS ચૌહાણે ટિપ્પણી કરી કે વોર અને વોરફેર માનવજાતના રાજકીય ઇતિહાસના સમાનાર્થી છે. તેમણે કહ્યું “યુદ્ધ માનવ સંસ્કૃતિ જેટલું જૂનું છે. કોઈપણ પ્રકારના યુદ્ધમાં બે મહત્વપૂર્ણ અંગો હોય છે – હિંસા અને હિંસા પાછળનું રાજકારણ. ત્રીજું અંગ છે કમ્યુનિકેશન, જે સતત થઈ રહ્યું છે.”
તેમણે ઉમેર્યું કે “પ્રોફેશનલ ફોર્સિઝ તરીકે, અમને નુકસાનથી અસર થતી નથી; આપણે આપણી ભૂલોને સમજવા અને સુધારવા સક્ષમ હોવા જોઈએ, અને આપણે સેટબેકને કારણે બેસી ન રહી શકીએ.”
પાકિસ્તાનનો ઈરાદો:
CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું, “આપણા દુશ્મન (પાકિસ્તાન) નો ઈરાદો ભારતને ઘા આપીને લોહી વહેવડાવવાનો હતો. પહલગામમાં જે બન્યું તેના થોડા અઠવાડિયા પહેલા, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.”
સીડીએસ જનરલ ચૌહાણે કહ્યું, “પાકિસ્તાને વિચાર્યું હતું કે તે ભારત વિરુદ્ધ 48 કલાક સુધી ઓપરેશન ચાલુ રાખશે, પરંતુ આઠ કલાકમાં તેણે હાર માની લીધી અને વાટાઘાટો કરવાની ઇચ્છા વ્યક્ત કરી. 10 મેની રાત્રે, પાકિસ્તાનને સમજાયું કે જો ભારતની કાર્યવાહી ચાલુ રહેશે, તો તેને ઘણું નુકસાન થશે. આ ડરને કારણે, પાકિસ્તાને ભારત સાથે વાત શરુ કરી. જ્યારે પાકિસ્તાન તરફથી તણાવ ઘટાડવાની વિનંતી કરવામાં આવી, ત્યારે અમે તેનો સ્વીકાર કર્યો.”