નેશનલ

શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદર આવેલા આતંકી ઠેકાણાઓને ધૂળમાં ભેળવી દીધા હતા. જો કે ત્યારબાદ પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા અને તેનો પણ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો પરંતુ પાકિસ્તાન આ મુદ્દે ખોટા દાવાઓ કરીને પોતાની પ્રજાને મૂર્ખ બનાવી રહ્યું છે. પાકિસ્તાનના હુમલામાં ભારતીય સેનાના ફાઇટર જેટ્સને કેટલું નુકસાન થયું તે અંગે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે વાત કરી છે.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ દરમિયાન ભારતીય ફાઇટર જેટ્સના નુકસાનની વાત સ્વીકારી છે, પરંતુ પાકિસ્તાન દ્વારા ચાર રાફેલ સહિત છ ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાના દાવાને તેમણે “બિલકુલ ખોટો” ગણાવ્યો છે.

આ પણ વાંચો: ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું

ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કરી વાત

તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિમાન શા માટે ગુમાવ્યા તે જાણવું વધુ મહત્ત્વપૂર્ણ છે, જેથી ભારતીય સેના પોતાની રણનીતિમાં સુધારો કરી શકે અને ફરીથી અસરકારક રીતે જવાબી કાર્યવાહી કરી શકે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તણાવ દરમિયાન ચાર રાફેલ સહિત છ ફાઇટર જેટ્સને પાકિસ્તાની સેનાએ તોડી પાડ્યા હતા, જોકે આ દાવાને CDS ચૌહાણે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

વિમાનો શા માટે તોડી પડાયા તે મહત્વનું?

જનરલ ચૌહાણે કહ્યું, “મને લાગે છે કે મહત્ત્વનું એ નથી કે વિમાનને તોડી પાડવામાં આવ્યું, પરંતુ એ છે કે તેમને શા માટે તોડી પાડવામાં આવ્યા.” તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન સાથેના ચાર દિવસીય લશ્કરી તણાવ દરમિયાન ભારતે લડાકુ વિમાનો ગુમાવ્યા હતા? જેના જવાબમાં તેમણે કહ્યું, “સારી વાત એ છે કે અમે અમારી વ્યૂહાત્મક ભૂલોને સમજવામાં સક્ષમ હતા, જેને અમે સુધારી, સુધારી અને પછી બે દિવસ પછી ફરીથી લાગુ કરી. અમે અમારા તમામ જેટ વિમાનોને ફરીથી લાંબા અંતર પર નિશાન બનાવીને ઉડાવ્યા.”

પાકિસ્તાનનો દાવો ખોટો

ઓપરેશન સિંદૂર દરમિયાન છ ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાના પાકિસ્તાનના દાવા વિશે પૂછવામાં આવતા જનરલ ચૌહાણે તેને “બિલકુલ ખોટો” ગણાવ્યો હતો. અગાઉ, એર માર્શલ એ.કે. ભારતીએ સ્વીકાર્યું હતું કે નુકસાન યુદ્ધનો એક ભાગ છે અને કહ્યું હતું કે તમામ ભારતીય વાયુસેનાના પાઇલટ્સ સુરક્ષિત ઘરે પરત ફર્યા છે. એર માર્શલ ભારતીએ 11 મેના રોજ મીડિયા બ્રીફિંગમાં આ ટિપ્પણી કરી હતી, જ્યારે તેમને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વિમાનોના નુકસાન વિશે પૂછવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button