“બિહારની જનતા સાથે છું, ભાજપ સાથે નહીં” યુટ્યુબર મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પર કરી રાજીનામાની જાહેરાત…

પટણા: બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજ્યમાં નવાજૂની સર્જાવાનો દોર પર શરૂ થઈ ગયો છે. એક તરફ નાદુરસ્ત તબિયતના કારણે નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવશે નહીં, એવી ચર્ચા ચાલી રહીં છે. તો બીજી તરફ લોજપ (રામ વિલાસ)ના નેતા અને સાંસદ ચિરાગ પાસવાને પોતાને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બનાવી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એવામાં ભાજપના એક યુવા સભ્યએ પક્ષમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
ફેસબુક પર વીડિયો દ્વારા કરી રાજીનામાની જાહેરાત
બિહારના જાણીતા યુટ્યુબર મનીષ કશ્યપે સોશિયલ મીડિયાના માધ્યમ પરથી ભાજપ છોડવાની જાહેરાત કરી છે. મનિષે પોતાનો 14 મિનિટનો વીડિયો ફેસબુક પર શેર કરીને ભાજપ છોડવાનું કારણ અને તે આગળ શું કરશે? એની માહિતી આપી હતી. ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં મનીષ કશ્યપે જણાવ્યું હતું કે, “મેં મારા વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. ત્યાંના લોકોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મેં નિર્ણય કર્યો કે, બિહાર માટે લડવું પડશે. લોકોનું પલાયન રોકવા માટે લડવું છે. જ્યારે હું પક્ષમાં હતો, ત્યારે પણ મેં આ અંગે સતત સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ હવે મને લાગ્યું કે, પક્ષમાં રહીને મજબૂતીપૂર્વક અવાજ ઉઠાવી શકાશે નહીં. તેથી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.”
મને મજબૂર કરવામાં આવ્યો છે: યુટ્યુબર મનીષ કશ્યપ
મનીષે આગળ જણાવ્યું કે, “મારા આ નિર્ણયથી કેટલાક લોકો ખુશ છે, કેટલાક લોકો દુખી છે. જે લોકો દુખી છે, તેઓને હું હાથ જોડીને વિનંતી કરૂં છું કે, આ નિર્ણય લેવા માટે મને મજબૂર કરવામાં આવ્યો છે. મેં મારું તન, મન, ધન સહિત તમામ પક્ષને સમર્પિત કર્યું હતું. કેટલાક નેતા કહે છે કે મનીષ કશ્યપ મહત્વકાંક્ષી છે. પરંતુ હું મહત્વકાંક્ષી નથી.”
મનીષ કશ્યપે કરી ચૂંટણી લડવાની વાત
ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં મનીશે હવે અલગ પ્લેટફોર્મ પર પોતાની વાત મૂકીશ, એવું જણાવ્યું છે. તે હવે નવું પ્લેટફોર્મ તૈયાર કરીને અથવા કોઈ સાથે મળીને બ્રાંડ બિહારની વાત કરવા ઈચ્છે છે. મનીષે વાતવાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની વાત પણ કરી નાખી છે. મનીષે વીડિયોમાં જણાવ્યું કે, “મારે ક્યાંથી ચૂંટણી લડવી જોઈએ, એ હવે તમે મને જણાવજો. મારે કોઈ પાર્ટીમાંથી લડવું જોઈએ કે અપક્ષ લડવું જોઈએ. હું આરોગ્ય વિભાગ સામે અવાજ ઉઠાવતો રહીશ. મારી લડત કોઈ એક વ્યક્તિની વિરૂદ્ધ નથી.”

આરોગ્ય વિભાગ સામે મનીષ કશ્યપને હતો વાંધો
મનીષે બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાડે પર આરોપ લગાવ્યો હતો કે, જો તેઓ થોડું ધ્યાન આપતા તો મુજફ્ફરપુરની બાળકીનું મૃત્યુ ન થતું. આરોગ્ય વિભાગમાં મોટા ગોટાળા થયેલા છે, જેને સાક્ષીઓ સાથે ખુલ્લા પાડવાની પણ વાત કરી હતી. મનીષે કહ્યું હતું કે, હું બિહારની જનતા સાથે છું, ભાજપ સાથે નહીં.
ઉલ્લેખનીય છે કે, મનીષ કશ્યપે બિહાર શ્રમિકોને લઇને તમિલનાડુમાં ફેક ન્યૂઝ અને ફેક વીડિયો ફેલાવવાના ગુનામાં 9 માસનો જેલવાસ ભોગવ્યો હતો. ત્યારબાદ તે સાંસદ મનોજ તિવારી સાથે દિલ્હી પહોંચ્યો હતો અને ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં જોડાયા બાદ તેણે જણાવ્યું હતું કે, “હું વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં છું, મારી પાસે શબ્દો નથી, જય શ્રી રામ.”
આપણ વાંચો : બિહારની વરવી વાસ્તવિકતાનો વીડિયો વાયરલઃ રાહુલ ગાંધીએ ઝાટકી નીતિશ સરકારને