ટોપ ન્યૂઝનેશનલ

Bihar Politics: બિહારમાં આજે ખેલ પડી જશે! લાલુએ પણ આશા છોડી દીધી, તમામ પક્ષોએ આજે બઠક બોલાવી

પટના: લોકસભા ચૂંટણી 2024 પહેલા બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતિશ કુમાર આજે મહત્વનો નિર્ણય લઇ શકે છે. નીતીશ કુમારે ભાજપની આગેવાની હેઠળના NDAમાં પાછા ફરવાના સંકેત આપ્યા બાદ, બિહારની મહાગઠબંધનની સરકાર પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. દરમિયાન આજે ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુએ પોતપોતના નેતાઓની બેઠક બોલાવી છે.

ભાજપના નેતાઓએ નીતિશને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા લાલુએ નીતિશના ગઠબંધનમાં રહે એવી આશા છોડી દીધી છે. લાલુની પાર્ટી પોતાનું સંખ્યાબળ મજબૂત કરવામાં વ્યસ્ત થઇ ગઈ છે. લાલુ યાદવ શનિવારે પોતાની પાર્ટીના વિધાનસભ્યોને મળવાના છે. બપોરે 1 વાગે તમામ નેતાઓ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ઘરે ભેગા થશે અને ભવિષ્યની રણનીતિ પર કામ કરશે.


રાજ્યમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે સાંસદો અને રાજ્ય વિધાનસભાના સભ્યોની બેઠક બોલાવી છે. બીજેપીના રાજ્ય એકમના પ્રમુખ સમ્રાટ ચૌધરીને એવી અટકળો વિશે પૂછવામાં આવ્યું કે શું ભાજપ જનતા દળ (યુનાઇટેડ) સાથે ફરીથી જોડાણ કરવા તૈયાર છે, તો તેમણે કહ્યું, “અમારા સ્તરે આવી કોઈ વાત કરવામાં આવી નથી.”


દરમિયાન કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાને પૂર્ણિયામાં કોંગ્રેસના વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. જો કે, તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે રાજ્યમાં તાજેતરની રાજકીય ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી છે. ખાને કહ્યું કે પાર્ટીના વર્તમાન ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સંબંધિત તૈયારીઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરી રહ્યા છે. બિહારમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. વિધાન સભ્ય તૂટવાના ડરથી આ બેઠક બોલવવામાં આવી રહી હોવાના અહેવાલ છે.


અત્યાર સુધી ડાબેરી પક્ષોએ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું ન હતું પરંતુ શુક્રવારે CPI (LM) Liberationના વિધાનસભ્ય મહેબૂબ આલમે કહ્યું કે જો નીતીશ કુમાર NDAમાં જોડાશે તો તેઓ રાજકીય રીતે મૃત્યુ પામશે. તે મહાગઠબંધનમાં તિરાડ ઊભી કરીને 2024માં ચૂંટણી જીતવા માંગે છે.


આ તમામ અપડેટ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે નીતીશ કુમાર બે દિવસમાં શપથ લઈ શકે છે. એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ રાખવાની ફોર્મ્યુલાની પણ ચર્ચા છે. એવી પણ ચર્ચા છે કે ભાજપ પોતાની પસંદગીના સીએમ બનાવવા માંગે છે પરંતુ હજુ સુધી કશું સ્પષ્ટ નથી. ગઈકાલ સુધી જે બીજેપી નેતાઓ નીતિશ કુમારની ટીકા કરતા હતા તેમનો સ્વર અચાનક બદલાઈ ગયો છે. તેઓ કહે છે કે અમે કાર્યકર્તાઓ છીએ, જે આદેશ આવશે તેનું પાલન કરીશું.


ઓગસ્ટ 2022 માં ભાજપ સાથે સંબંધો તોડ્યા પછી, નીતિશ તેમના ભૂતપૂર્વ કટ્ટર હરીફ લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધનમાં જોડાયા. તે સમયે નીતિશે ભાજપ પર JD(U)ને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button