
પટના : બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકારણ ગરમાયું છે. જેમાં એનડીએમાં સીટ-શેરિંગ ફોર્મ્યુલાને લઈને વિવાદ વધી રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી અને એલજેપી નેતા ચિરાગ પાસવાન સીટ શેરીંગથી નારાજ છે. ત્યારે ચિરાગ પાસવાને હવે આકરા તેવર બતાવ્યા છે. તેમજ કહ્યું છે કે પિતાએ જણાવ્યું હતું કે દરેક ડગલે લડતા શીખો. જેની બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
ચિરાગ પાસવાન 35થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન 35થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. આ દરમિયાન ભાજપ ફક્ત 28 બેઠકો આપવા તૈયાર છે. જયારે મંગળવારે બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને ચિરાગ પાસવાન સાથે વાત કરી તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. જયારે ચિરાગ પાસવાને બેઠક વહેંચણીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે ચર્ચા ચાલી રહી છે તેની તમને જાણ કરવામાં આવશે.
ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પર પિતાને શ્રદ્ધાંજલિ અર્પી
જયારે ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, પિતાજી હું તમારી પુણ્યતિથિ પર તમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. તમે બિહારના વ્યાપક અને સર્વાંગી વિકાસ માટે જે સ્વપ્ન જોયું હતું તે સાકાર કરવાનો સમય આવી ગયો છે. તમે મને જે જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરવી એ મારા જીવનનો હેતુ અને ફરજ છે.
આ પણ વાંચો…બિહારની ચૂંટણીની જાહેરાત થતાં જ સર્વેના પરિણામો આવવા લાગ્યાઃ જાણો જનતાનો મિજાજ