બિહાર વિધાનસભા ચૂંટણી લડશે ચિરાગ પાસવાન, એલજેપી સંસદીય બોર્ડે લીધો ફેંસલો

પટનાઃ આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય હલચલ અત્યારથી જ તેજ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસના બિહાર પ્રવાસે આવ્યા હતા અને રાજ્યને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. બિહાર વિધાનભા ચૂંટણીને લઈ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ની સંસદીય બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને લોજપા (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે. આ નિર્ણય પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે લેવામાં આવ્યો હતો.
ચિરાગ પાસવાને તાજેતરમાં જ બિહારની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બેઠકમાં પાર્ટીએ નક્કી કર્યું કે, ચિરાગ ન માત્ર ચૂંટણી પ્રચાર કરશે પરંતુ ખુદ કોઈ સીટ માટે ઉમેદવાર પણ હશે. સૂત્રો મુજબ ચિરાગના ચૂંટણી લડવાથી બિહારમાં એનડીએ ગઠબંધન મજબૂત થશે. તેમની યુવા છબી અને બિહારના વિકાસ માટે તેમની બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટની વિચારધારાને જનતા વચ્ચે લાવવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે.
બિહાર વિધાનસભા ઈતિહાસ
બિહારમાં 1937માં પ્રથમ વખત વિધાનસભાની રચના થઈ હતી. 1912માં જ્યારે બંગાળમાંથી બિહાર અને ઓડિશાને અલગ કરવામાં આવ્યા, ત્યારે 43 સભ્યોની વિધાન પરિષદની સ્થાપના થઈ હતી. ઝારખંડ અલગ રાજ્ય બન્યા પછી, બિહાર વિધાનસભાના સભ્યોની સંખ્યા 325 થી ઘટીને હાલની 243 થઈ ગઈ છે.
આપણ વાંચો: સિક્કિમમાં મેઘતાંડવ: ભૂસ્ખલનને કારણે 1500 પ્રવાસીઓ ફસાયા, 8 ગુમ…
2020માં ક્યારે થઈ હતી ચૂંટણી
2020માં બિહારમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. પ્રથમ તબક્કામાં 71 સીટ પર 28 ઓક્ટોબર, 2020ના રોજ મતદાન થયું હતું. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 2020ના રોજ 94 સીટ અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 વિધાનસભા સીટ પર મતદાન થયું હતું. 10 નવેમ્બર 2020ના રોજ મત ગણતરી થઈ હતી.
2020 વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 115 સીટમાંથી 43 સીટ, ભાજપે 110 સીટમાંથી 74 સીટ જીતી હતી. આરજેડીએ 114 સીટ પર ચૂંટણી લડી હતી અને 80 બેઠક જીતી હતી અને રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. જ્યારે કોંગ્રેસે 70 સીટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 19 જીતી હતી.