ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુ અંગે મોટો ખુલાસો, ઝુબિને લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યો હતો

સિંગાપુર: ભારતીય ગાયક ઝુબિન ગર્ગના ગત સપ્ટેમ્બર માસમાં લાઝારસ ટાપુ નજીક ડૂબી જવાથી મોત થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. આ અંગે સિંગાપુર પોલીસે બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે ગાયક ઝુબિન ગર્ગે લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઝુબિન ખૂબ જ નશામાં હતા અને તેથી જ તે લાઝારસ ટાપુ નજીક નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાના એક દિવસ પહેલા ડૂબી ગયા હતા.
ગાયક ખૂબ જ નશામાં હતા
મીડિયા અહેવાલ અનુસાર સિંગાપોરની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આસામી ગાયકે શરૂઆતમાં લાઇફ જેકેટ પહેર્યું હતું પરંતુ પછીથી તે કાઢી નાખ્યું અને બીજું પહેરવાનો ઇનકાર કર્યો. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ગાયક ખૂબ જ નશામાં હતો અને ઘણા સાક્ષીઓએ તેને હોડીમાં પાછા તરવાનો પ્રયાસ કરતા જોયો હતો જ્યારે તે બેહોશ થઈ ગયો હતો અને તેનો ચહેરો પાણીમાં ડૂબી ગયો હતો.
આ પણ વાંચો: ઝુબિન ગર્ગનો છેલ્લો વીડિયો વાયરલઃ મોત સામે ઝઝૂમતો દેખાઈ રહ્યો છે સિંગર
સિંગાપોર પોલીસે મૃત્યુ અંગે અન્ય થીયરીને નકારી કાઢી
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાયકને તાત્કાલિક બોટમાં પાછા લાવવામાં આવ્યા હતા અને CPR આપવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગર્ગને હાઈ બ્લડ પ્રેશર અને વાઈની બીમારી હતી અને તેનો છેલ્લો હુમલો 2024 માં આવ્યો હતો. સિંગાપોર પોલીસે મૃત્યુ અંગે અન્ય થીયરીને નકારી કાઢી છે.



