Dhar Bhojshala Survey: ધારની ભોજશાળામાં ASI સર્વે શરુ; શુક્રવારની નમાઝને અસર નહીં થાય, જાણો શું છે વિવાદ

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા(Dhar Bhojshala) અંગે હિંદુ અને મુસ્લિમ પક્ષ પોતપોતાના દાવાઓ અંગે પુરાવા એકઠા કરવા આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ની ટીમે સર્વે શરૂ કર્યો છે. આજે શુક્રવારે સવારે 6:30 વાગ્યે ASIની પાંચ સભ્યોની ટીમ ભોજન શાળા પહોંચી હતી. સર્વે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાના બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈ કોર્ટની સૂચના પર આ સર્વે કરવામાં આવી રહ્યો છે. ભોજશાળા કેસમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ ફેબ્રુઆરી મહિનામાં સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગઈ કાલે ગુરુવારે ASIના વરિષ્ઠ અધિકારી પ્રો. આલોક ત્રિપાઠીએ સ્થાનિક પ્રશાસનને આ સર્વે કરવા અંગે આપી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટની ઈન્દોર ડિવિઝન બેંચની અરજી નં. 10497-2022ના અનુપાલનમાં ટીમ 22 માર્ચે ધાર પહોંચશે અને સર્વે કરશે.
સર્વે શરૂ થતાં શુક્રવારની નમાઝ પર તેની અસર પડશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ અંગે ધારના એસપી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, શુક્રવારે ભોજશાળામાં સર્વે કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શુક્રવાર હોવાથી ભોજન શાળામાં નમાઝ પણ પઢવામાં આવશે. તેને અસર થશે નહીં.
ભોજશાળાને બાબતે હિંદુઓ અને મુસ્લિમો પક્ષો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષો પોતાના અધિકાર દાવો કરી રહ્યા છે. હિન્દુ પક્ષ કહે છે કે અહીં સરસ્વતી મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ કહે છે કે ભોજશાળા નમાઝનું સ્થળ છે. ભોજશાળાનું નિર્માણ ક્યારે થયું, તેની બાંધકામ શૈલી કેવી હતી અને પથ્થરો પર કેવા પ્રકારના પ્રતીકો કોતરેલા છે તે ચકાસવા માટે ASIના નિષ્ણાતોની ટીમ સર્વે કરશે. આ ટીમ સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરશે. જેના આધારે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ASI એ અગાઉ કહ્યું હતું કે 1902 માં પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. અગાઉના સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભોજશાળાનું સ્થાપત્ય ભારતીય શૈલીનું છે. ભોજશાળામાં હિન્દુ પ્રતીકો, સંસ્કૃત શબ્દો કોતરેલા વગેરે મળી આવ્યા છે. અહીં વિષ્ણુની પ્રતિમા પણ છે. અરજદારે તેના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ સમુદાયને ભોજનશાળામાં નિયમિત પૂજા કરવાનો અધિકાર છે. મુસ્લિમ સમુદાય ત્યાં નમાઝ અદા કરે છે. ત્યાં નમાઝ પઢવા પર પ્રતિબંધ હોવો જોઈએ કારણ કે ત્યાં હિન્દુ મંદિર છે.

હિંદુ પક્ષના દાવાઓ મુજબ ભોજશાળાનો ઈતિહાસ હજાર વર્ષથી પણ વધુ જૂનો છે. હિન્દુ સંગઠનોના મતે ભોજશાળાનું નિર્માણ ધારના રાજા ભોજે કરાવ્યું હતું. ભોજશાળા શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. રાજવંશના સમયગાળા દરમિયાન અહીં સૂફી સંત કમાલ મૌલાનાની દરગાહ બનાવવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયે અહીં નમાઝ પઢવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે ધારમાં ભોજશાળા નથી પરંતુ દરગાહ છે.
બ્રિટિશ શાસન દરમિયાન પણ ભોજશાળા અંગે વિવાદ ઊભો થયો હતો. વર્ષ 1902માં લોર્ડ કર્ઝન ધાર, માંડુની મુલાકાતે આવ્યા. તેમણે ભોજનશાળાની જાળવણી માટે રૂ. 50,000 ખર્ચ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે સર્વે પણ કરવામાં આવ્યો હતો.
ધર ભોજશાળાને 1951માં રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવી હતી. ત્યારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં ભોજશાળા અને કમલ મૌલાની મસ્જિદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.