Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ‘મોહબ્બત કી દુકાન’ બસમાં બેસવાની ટીકીટ
![Bharat Jodo Nyay Yatra:](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Bharat-Jodo-Nyay-Yatra-2024.webp)
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના બીજા અધ્યાયની શરૂઆત કરી છે. રવિવારે તેમણે મણિપુરના ઇમ્ફાલથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂ કરી હતી, રાહુલ ગાંધી આગામી અઢી મહિના માટે ‘મોહબ્બત કી દુકાન’ બસમાં મુસાફરી કરશે. એક અનોખી હેઠળ કોંગ્રેસ પાર્ટીએ સોમવારે આ બસમાં સવારી કરવા અને રાહુલ ગાંધીને મળવા માંગતા લોકો માટે ‘ખાસ ટિકિટ’ રજુ કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર બ્રાઉન કલરની ટિકિટ શેર કરી હતી, જેના પર રાહુલ ગાંધીની તસવીર છપાયેલી છે.
તેમેણે લખ્યું કે “આ ‘મોહબ્બત કી દુકાન’ બસની ટિકિટ છે જેમાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં મુસાફરી કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષોના અન્યાય સામે ન્યાયની આ યાત્રામાં જે લોકો રાહુલ ગાંધીને મળવા અને વાત કરવા માગે છે, તેમને આવી ટિકિટ આપવામાં આવી છે અને બસમાં બોલાવવામાં આવ્યા છે.”
‘મોહબ્બત કી દુકાન’ બસ એ એક કસ્ટમ-મેઇડ વોલ્વો બસ છે જેમાં રાહુલ ગાંધી બસની ઉપરની ભીડને સંબોધન કરી શકે એ માટે હાઇડ્રોલિક લિફ્ટ છે. બસ પર ‘મોહબ્બત કી દુકાન’ લખાણ લખેલું છે અને બસની પાછળ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તસ્વીર છે.
નોંધનીય છે કે, ‘મોહબ્બત કી દુકાન’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ રાહુલ ગાંધીએ પહેલી ભારત જોડો યાત્રા દરમિયાન કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તેઓ ‘નફરતની બજાર’માં ‘મોહબ્બત કી દુકાન’ ખોલી રહ્યા હતા.
ભારત જોડો ન્યાય યાત્રા રવિવારના રોજ મણિપુરના થોબલ જિલ્લામાંથી શરૂ થઈ હતી અને 6,713 કિમીનું અંતર કાપશે, 100 લોકસભા મતવિસ્તારો અને 337 વિધાનસભા ક્ષેત્રો અને 110 જિલ્લાઓને આવરી લેશે. મણિપુર ઉપરાંત, આ યાત્રા પૂર્વોત્તરના ચાર રાજ્યોને આવરી લેશે – નાગાલેન્ડ (બે દિવસમાં 257 કિમી), અરુણાચલ પ્રદેશ (એક દિવસમાં 55 કિમી), મેઘાલય (એક દિવસમાં પાંચ કિમી) અને આસામ (આઠ દિવસમાં 833 કિમી).