‘વન નેશન, વન હસબન્ડ’ ભગવંત માનની ટિપ્પણી અંગે રાજકીય હોબાળો, ભાજપે રાજીનામું માંગ્યું…

ચંડીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ઓપરેશન સિંદૂર (Bhagwant Mann about operation Sindoor) અંગે વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ ઉભો થયો છે. ભગવંત માને ભાજપ પર રાજકીય લાભ માટે ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે ભગવંત માન પર પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની વિધવાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મુદ્દે રાજકીય ગરમાવો શરુ થયો છે.
મંગળવારે પંજાબ કેબિનેટની બેઠક બાદ, મુખ્ય પ્રધાન માનએ આરોપ લગાવ્યો કે ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને સિંદૂર વહેંચી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. સિંદૂરની મજાક ઉડાવવામાં આવી રહી છે. ભાજપ ઓપરેશન સિંદૂરના નામે મત માંગી રહી છે. તેઓ દરેક ઘરમાં સિંદૂર મોકલી રહ્યા છે. કયો પુરુષ તેની પત્નીને મોદીના નામે સિંદૂર લગાવવાનું કહેશે? શું આ ‘વન નેશન, વન હસબન્ડ’ (One nation one husband) યોજના છે?
જોકે, ભાજપે આવી કોઈ ઝુંબેશ શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો. ભાજપે મુખ્ય પ્રધાન ભગવંતને માફી માંગવા અને રાજીનામું અપાવાની માંગ કરી હતી.

ભાજપે રાજીનામાની માંગ કરી:
પંજાબ ભાજપના પ્રવક્તા પ્રીતપાલ સિંહ બાલિયાવાલે આ ટિપ્પણીને ‘શરમજનક’ ગણાવી. તેમણે કહ્યું કે માન ઓપરેશન સિંદૂરની મજાક ઉડાવી રહ્યા છે. ભાજપે દરેક ઘરમાં સિંદૂર મોકલવાનું કોઈ અભિયાન શરુ કર્યું નથી. પહલ ગામમાં આતંકવાદીઓ હિન્દુઓને તેમનો ધર્મ પૂછીને મારી રહ્યા હતા. સિંદૂરના નિશાનને જોઈને આતંકવાદીઓ મહિલાઓની ઓળખ કરતા હતાં. ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ હતું. જે વ્યક્તિ ભારતીય સેનાની મજાક ઉડાવે છે, મહિલાઓનું અપમાન કરે છે અને દરેક પવિત્ર પ્રતીકની મજાક ઉડાવે છે, તે ક્યારેય સિંદૂરનું મૂલ્ય સમજી શકશે નહીં, જેમાં બલિદાન, પ્રેમ અને ભક્તિનો સમાવેશ થાય છે.
પ્રીતપાલ સિંહ બાલિયાવાલે ભગવંત માનના તાત્કાલિક રાજીનામાની પણ માંગ કરી.
કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે આ નિવેદન દર્શાવે છે કે આમ આદમી પાર્ટી અને તેમના મુખ્ય પ્રધાન કેટલી હલકી વાતો કહી શકે છે. કેન્દ્રની NDA સરકારે પાકિસ્તાનને હરાવ્યું છે અને તમે તેને સહન નથી કરી શકતા. આજે તમે PM મોદી વિરુદ્ધ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના માટે દેશ તમને માફ નહીં કરે.
આપણ વાંચો : પંજાબ લઠ્ઠા કાંડ: ઝેરી દારુ પીવાથી 21ના મોત, મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી…