બેંગલુરુ નાસભાગઃ મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર, મુખ્ય પ્રધાને કરી જાહેરાત…

બેંગલુરુઃ આરસીબી આઈપીએલ 2025 વિજેતા બન્યા બાદ બેંગલુરુમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મચેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી હતી. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની રકમ વધારીને રૂપિયા 25 લાખ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્ય પ્રધાને સહાયની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો. સીએમ સિદ્ધારમૈયાએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલા વહેલા આર્થિક સહાય આપવા આદેશ કર્યો હતો.
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમાં થયેલી દુર્ઘટના બાદ કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના સચિવ એ શંકર અને કોષાધ્યક્ષ ઈ એસ જયરામે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બંને અધિકારીએ આ પગલું નૈતિક જવાબદારી સમજીને આપ્યું હતું. બેંગલુરુ પોલીસે ગુરુવારે આઈપીએલ ફ્રેન્ચાઇઝી વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરસીબીને સ્ટેડિયમમાં આ ઇવેન્ટ યોજવાની પરવાનગી નહોતી.
ભાજપના નેતા અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારના હાથ લોહીથી રંગાયેલા છે ત્યારબાદ આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ભાજપના નેતાએ તેમને સીધા જવાબદાર ઠેરવ્યા હતા અને 4 જૂનની નાસભાગના સંબંધમાં તેમના રાજીનામાની માંગ કરી હતી.

આપણ વાંચો : બેંગલુરુ ભાગદોડ મામલે કર્ણાટક સરકારની કાર્યવાહીનો દોર CMO સુધી? અચાનક રાજકીય સચિવને કરાયા બરતરફ