
મતદારયાદી સુધારણા પ્રક્રિયામાં દખલ દેવાય એની વિનંતી સાથે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરનાર મમતા પહેલાં સીએમ બન્યાં…
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સર્વોચ્ચ અદાલતને મતદારયાદી સુધારણાની પ્રક્રિયા(સર)માં દખલગીરી કરીને લોકશાહી બચાવવા બુધવારે વિનંતિ કરી હતી. સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરનાર મમતા બેનરજી પહેલાં સીએમ બન્યાં હતાં.
તેમણે આક્ષેપ કર્યો હતો કે મતદારયાદી સુધારણાની પ્રક્રિયામાં પશ્ચિમ બંગાળના લોકોને લક્ષ્ય બનાવીને તેઓને હેરાન કરાઇ રહ્યા છે.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સાચા મતદારોને મતદારયાદીમાં રાખવા જ જોઇએ.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી તેમ જ ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બૅન્ચે ચૂંટણી પંચ અને પશ્ર્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરને આ સંબંધમાં નૉટિસ આપીને તેઓની પાસે નવ ફેબ્રુઆરી સુધીમાં જવાબ માગ્યો હતો.
મમતા બેનરજીએ સવાલ કર્યો હતો કે મતદારયાદી સુધારણાની પ્રક્રિયામાં પશ્ર્ચિમ બંગાળ જેવી નીતિ આસામમાં શું કામ નથી અપનાવાતી?
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે અમને ક્યાંય ન્યાય નથી મળતો. મેં ચૂંટણી પંચને આ સંબંધમાં છ પત્ર લખ્યા હતા. મતદારયાદીમાં અનેક ગોટાળા છે. અમુક મતદારો અને તેઓના માતા-પિતાનાં નામ અલગ છે. કેટલાક મતદારના નામ ખોટા લખાયાં છે.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે અમુક બંગાળી ઉચ્ચાર અલગ હોવાથી મતદારયાદીમાં તેઓનાં નામ ખોટા લખાયાં હોવાની શક્યતા છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. ચૂંટણી પંચે કોઇ સાચા મતદારનું નામ યાદીમાં રહી ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ મતદારયાદી સુધારણાની પ્રક્રિયામાં આધાર કાર્ડને માન્યતાપ્રાપ્ત દસ્તાવેજ નથી ગણતી. અનેક જીવતા લોકોને મૃત જાહેર કરાયા છે. (એજન્સી)



