Tripura માં બાંગ્લાદેશ સહાયક હાઇ કમિશન ઓફિસમાં તોડફોડ, વિદેશ મંત્રાલયે ખેદ વ્યક્ત કર્યો…

અગરતલા: ત્રિપુરાની(Tripura)રાજધાની અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશન ઓફિસ પરિસરમાં થયેલી તોડફોડ અંગે કેન્દ્ર સરકારે ખેદ વ્યક્ત કર્યો છે. તેમજ હાઈ કમિશન અને અન્ય શહેરોમાં સ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશન ઓફિસની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અગરતલામાં આજે બાંગ્લાદેશના સહાયક હાઈ કમિશનના પરિસરમાં તોડફોડની ઘટના અત્યંત ખેદજનક છે. તેમજ કોઈપણ સંજોગોમાં રાજદ્વારી અને કોન્સ્યુલર પ્રોપર્ટીને નિશાન બનાવવી જોઈએ નહીં.
આ પણ વાંચો અકાલ તખ્તે આપી Sukhbir Singh Badalને ધાર્મિક સજા, અકાલી સરકારમાં કરેલી ભૂલો સ્વીકારી
બાંગ્લાદેશ હાઈ કમિશન ઓફિસની સુરક્ષામાં વધારો
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન અને દેશમાં તેમના ડેપ્યુટી/આસિસ્ટન્ટ હાઈ કમિશન ઓફિસ માટે સુરક્ષા વ્યવસ્થા વધારવા પગલાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને હિન્દુઓ પર હુમલાના વિરોધમાં ત્રિપુરામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનની ઓફિસ બહાર વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં તોડફોડ બાદ આ નિવેદન આવ્યું છે.
હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ રેલી
મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે 50 થી વધુ પ્રદર્શનકારીઓ અગરતલામાં બાંગ્લાદેશ હાઈ કમિશન સંકુલમાં ઘૂસી ગયા હતા. અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનરની ઓફિસ પાસે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલ હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ રેલી કાઢવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં દેખાવકારોએ કથિત રીતે બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : ‘જામીન મળ્યાના બીજા જ દિવસે પ્રધાન બની ગયા’ સુપ્રીમ કોર્ટે આ નેતાની ઝાટકણી કાઢી…
બાંગ્લાદેશમાં હિંદુ ઘરો પર હુમલા
વિશ્વ હિન્દુ પરિષદના ત્રિપુરાના સેક્રેટરી શંકર રોયે પત્રકારોને જણાવ્યું હતું કે, શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને હિંદુ ઘરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને વ્યવસાયો પર પણ લૂંટ ચલાવવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી.