બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 10 વર્ષ બાદ સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે

ઢાકા: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંબધોમાં સુધાર થઇ રહ્યો છે. ત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 10 વર્ષ બાદ સીધી ફ્લાઇટ સેવા 29 જાન્યુઆરીથી શરૂ થવાની છે. સરકારી ઉડ્ડયન કંપની બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ ઢાકા અને કરાચી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે.
બાંગ્લાદેશના મીડિયા અહેવાલ અનુસાર આ ફ્લાઇટ્ શરૂઆતમાં અઠવાડિયામાં બે વાર ઉડાન ભરશે. જે ગુરુવાર અને શનિવારે ઉપડશે.ફ્લાઇટ ઢાકાથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને સ્થાનિક સમય મુજબ રાત્રે 11:00 વાગ્યે કરાચી પહોંચશે. તેમજ પરત ફરતી ફ્લાઇટ કરાચીથી રાત્રે 12:00 વાગ્યે ઉપડશે અને સવારે 4:20 વાગ્યે ઢાકા આવશે.
બંને દેશોએ તેમના સંબંધો સુધારવા માટે પ્રયાસો વધુ તીવ્ર
વર્ષ 2024 માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારના પતન પછી બંને દેશોએ તેમના સંબંધો સુધારવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. તાજેતરના મહિનાઓમાં રાજદ્વારી, વેપાર અને લોકો થી લોકોના સંપર્કોને વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જે લાંબા સમયથી તંગ સંબંધોને સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બાંગ્લાદેશને ભારત પરથઇ ઉડાનની પરવાનગી અંગે અસ્પષ્ટતા
ઢાકા અને કરાચી વચ્ચેનો સૌથી ટૂંકો હવાઈ માર્ગ ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થાય છે. પરંતુ હાલમાં તે સ્પષ્ટ નથી કે બાંગ્લાદેશને ભારત ઉપર ઉડાન ભરવાની પરવાનગી મળી છે કે નહીં. વિમાન બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ માર્ગ ફરી શરૂ કરવા અંગે પાકિસ્તાની ઉડ્ડયન અધિકારીઓ સાથે ઘણા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે. ઢાકા-કરાચી રૂટ પર છેલ્લી સીધી ફ્લાઇટ્સ વર્ષ 2012 માં કાર્યરત હતી.



