આયોધ્યામાં યોજાનાર રામલીલામાં પાકિસ્તાનના કલાકારો પણ લેશે ભાગ

અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભવ્ય નિર્માણ બાદ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિર ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે અહીં રામલીલા પણ યોજાવાની છે ત્યારે આ આયોજનમાં વિશ્વના 14 દેશના કલાકારો ભાગ લેશે, જેમાં એક દેશ પાકિસ્તાન પણ છે.
રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વિદેશની ધરતી પર જન્મેલા 14થી વધુ દેશોના કલાકારો રામલીલાનું મંચન કરીને ભારતીય સંસ્કૃતિને મજબૂત કરશે. 17 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન આ રામલીલા યોજાશે.
અયોધ્યાની રામલીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિક અને મહાસચિવ શુભમ મલિકના જણાવ્યા અનુસાર, જે દેશોના કલાકારો રામલીલામાં ભાગ લેશે તેમાં રશિયા, મલેશિયા, અમેરિકા, લંડન, દુબઈ, ઈઝરાયેલ, અફઘાનિસ્તાન, જાપાન, ચીન, જર્મની, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ., પાકિસ્તાનના કલાકારોનો સમાવેશ થાય છે. તેમની કલાકારીમાં તેમના દેશોની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે.
તેમણે કહ્યું કે વિદેશથી આવનારા કલાકારોના રહેવાની વ્યવસ્થા લખનઉમાં કરવામાં આવશે.