Top Newsનેશનલ

“નહિ દરિદ્ર, કોઉ દુખી ન દીના”: અયોધ્યાથી PM મોદીએ રામરાજ્યને ‘વિકસિત ભારત’ સાથે જોડ્યું; કહી મહત્વની વાત…

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ‘ધર્મધ્વજા’ ફરકાવીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ બન્યા હતા. ધ્વજારોહણ બાદ પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભગવાન રામના મૂલ્યો અને રામરાજ્યની સંકલ્પનાને દેશના કલ્યાણ સાથે જોડી દીધી. તેમણે સ્પષ્ટ કર્યું કે અયોધ્યાનું આ રામ મંદિર સમગ્ર રાષ્ટ્રને ‘કલ્યાણ’નો સંદેશ આપી રહ્યું છે.

રામચરિત માનસની આ પંક્તિને ટાંકી
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસની પ્રખ્યાત પંક્તિ— “નહિ દરિદ્ર, કોઉ દુખી ન દીના”નું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે આ સંદેશ સૂચવે છે કે વિકસિત ભારતની સંકલ્પનામાં દેશનો કોઈ પણ વ્યક્તિ દુઃખી કે દરિદ્ર ન રહેવો જોઈએ. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આપણા રામ ભેદભાવથી નહીં પણ ભાવથી જોડાય છે; તેમને વંશ નહીં, મૂલ્યો પ્રિય છે, અને શક્તિ નહીં, સંયોગ માન્ય છે.

આપણે એક જીવંત સમાજ છીએ
તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં સરકારે મહિલા, દલિતો, પછાત, અતિ પછાત, આદિવાસી, વંચિત, યુવાનો અને ખેડૂતો સહિત તમામ વર્ગોને વિકાસના કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે ઉમેર્યું કે જ્યારે દેશનો દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્ર સશક્ત બનશે, ત્યારે જ દેશ રામરાજ્ય તરફ આગળ વધશે. વડા પ્રધાન મોદીએ આવનારા 1000 વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જેઓ ફક્ત વર્તમાનનો વિચાર કરે છે, તેઓ આવનારી પેઢીઓ સાથે અન્યાય કરે છે, કારણ કે આપણે એક જીવંત સમાજ છીએ અને આપણે દૂરંદેશી સાથે કામ કરવું પડશે.

મંદિર નિર્માણમાં સહયોગ આપનારાઓને અભિનંદન
તેમણે પ્રભુ રામ પાસેથી શીખવા અને તેમના વ્યક્તિત્વને આત્મસાત કરવા માટે આહ્વાન કર્યું હતું. રામ એટલે આદર્શ, મર્યાદા, ધર્મ પથ પર ચાલનારું વ્યક્તિત્વ; રામ એટલે જનતાના હિતોનું રક્ષણ કરવું; રામ એટલે જ્ઞાન અને વિવેકની પરાકાષ્ઠા; અને રામ એટલે કોમળતામાં દૃઢતા. તેમણે કહ્યું કે આ ધર્મધ્વજ દૂરથી જ રામલલાની જન્મભૂમિના દર્શન કરાવશે અને યુગો-યુગો સુધી પ્રભુ રામના આદર્શોને માનવ માત્ર સુધી પહોંચાડશે. આ દરમિયાન તેમણે રામ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર તમામ ભક્તો, શ્રમવીરો, યોજનાકારો અને અન્ય યોગદાન આપનારાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

સદીઓની વેદના પર વિરામ
પીએમ મોદીએ જણાવ્યું કે રામધ્વજા લહેરાવવાની સાથે જ સદીઓની વેદના પર વિરામ મુકાઈ રહ્યો છે. તેમણે ભગવાન રામની યુવરાજ તરીકે અયોધ્યામાંથી નીકળીને મર્યાદા પુરુષોત્તમ બનીને પાછા ફરવાની યાત્રાનો ઉલ્લેખ કર્યો, જે ગુરુ વશિષ્ઠના શિક્ષણ, માતા શબરીના મમત્વ અને નિષાદરાજની સંગતથી પૂર્ણ થઈ હતી. તેમણે કહ્યું કે આ સમરસતા આપણને યાદ અપાવે છે કે સાધન કરતાં સાધ્ય વધુ મહત્વપૂર્ણ છે. હવે ફરી એકવાર સમાજમાં તે જ સમરસતાના ભાવથી સૌના વિકાસ માટે કામ થશે, અને આપણે વિકસિત ભારતનું આવું જ સ્વપ્ન જોઈએ છીએ.

મેકોલેની શિક્ષણ નીતિની ટીકા કરી
તેમણે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાના લક્ષ્ય પર પણ ભાર મૂક્યો અને લોર્ડ મેકોલેની શિક્ષણ નીતિના વ્યાપક પ્રભાવને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો, જેના કારણે એક વર્ગે રામને પણ નકાર્યા છે. તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં અયોધ્યાએ દુનિયાને નીતિ આપી હતી, અને 21મી સદીની અયોધ્યા દુનિયાને વિકાસનું મોડેલ આપશે.

આ પણ વાંચો…અયોધ્યાના રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં બનેલ ધર્મ ધજા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button