રામલલાની પ્રતિષ્ઠા દ્વાદશી પર અયોધ્યા ફરી બન્યું રામમય

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર રામલલાનો ભવ્ય અભિષેક થશે. આ ધાર્મિક અનુષ્ઠાનમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તથા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામેલ થશે. રક્ષા પ્રધાન સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે અને મંદિર પરિસરમાં આશરે ચાર કલાક સુધી રહી વિવિધ અનુષ્ઠાનમાં હાજરી આપશે, તેઓ પરકોટમાં બનેલા અન્નપૂર્ણા મંદિરના શિખર પર ધ્વજારોહણ પણ કરશે. ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ ધૂમધામથી મનાવવામાં આવી રહી છે.
દ્વાદશીના દિવસે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તિથિ પર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામલલાનો અભિષેક કરવામાં આવશે. જેમાં યજ્ઞ, હવન અને પૂજનની પરંપરાગત વિધિઓ સંપન્ન થશે. સંરક્ષણ પ્રધાન અને મુખ્ય પ્રધાનની સાથે સંત-મહાત્માઓ, ધર્માચાર્યો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
સંરક્ષણ પ્રધાન મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ પણ કરશે. અનુષ્ઠાનમાં સામેલ થયા બાદ તેઓ અંગદ ટીલા પરિસરમાં આયોજિત સમારોહને સંબોધિત કરશે. તેઓ બપોરે 3:20 વાગ્યે અયોધ્યાથી રવાના થશે.
સંરક્ષણ પ્રધાનના આગમનને લઈ સુરક્ષાના વ્યાપક ઈન્તજામ કરવામાં આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં વધારાનું સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને અવરજવરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર અયોધ્યા સંપૂર્ણપણે રામમય વાતાવરણમાં ડૂબેલું છે. ભજન-કીર્તન, રામકથા અને શ્રીરામના જયઘોષથી ધર્મનગરીમાં ઉત્સવનો ઉલ્લાસ ચરમસીમાએ છે.



