વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદમાંથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પૂરી થયેલી ચાર રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે તેની તમામ તાકાત ઝોકી દીધી હતી. વિધાન સભાની આ ચૂંટણી જીતવી ભાજપ માટે ઘણી મહત્વની હતી. છત્તીસગઢ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં અને રાજસ્થાનમાં કેટલાક મતદાર ક્ષેત્રમાં પોતાની જીત પાક્કી કરવા માટે ભાજપે તેમના સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તે તમામ સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપે કુલ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
મધ્ય પ્રદેશમાં ભાજપે તેના સાત સાસંદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ સાત સાસંદમાથી પાંચ સાસંદ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે અને બે સાસંદ હારી ગયા છે. મધ્યપ્રદેશના જે પાંચ સાંસદો જીત્યા તેમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, રીતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ અને રાકેશ સિંહનો સમાવેશ થાય છે. આ પાંચ સાંસદોએ પણ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ફગ્ગન સિંહ કુલસ્તે અને ગણેશ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીતેલા રાજ્યવર્ધન રાઠોડ અને કિરોરી લાલ મીણાના રાજીનામાના સમાચાર છે. બાબા બાલકનાથ અને દિયા કુમારી પણ રાજીનામું આપવાના હતા પરંતુ તેઓ આવ્યા ન હતા. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ચાર સાંસદો સફળ રહ્યા હતા જ્યારે ત્રણને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બાબા બાલકનાથ, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરોરી લાલ મીણા વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જ્યારે ભગીરથ ચૌધરી, નરેન્દ્ર ખીચડ અને દેવજી પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો.