Manipur: આસામ રાઈફલ્સના જવાને છ સાથી જવાનો પર ગોળીબાર કર્યો, બાદમાં પોતાને ગોળી મારી
ઇમ્ફાલ: મણિપુરમાં આસામ રાઇફલ્સ (AR) ના એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં છ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરનાર જવાન મણીપુરના કુકી સમુદાયનો હોવાનું જાણવા મળ્યું છે, હુમલા બાદ તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે સવારે બની હતી, રજા બાદ જવાન ચુરાચંદપુર સ્થિત પોતાના ઘરેથી પરત ફર્યો હતો. આ ઘટના ભારત-મ્યાનમાર બોર્ડર નજીક દક્ષિણ મણિપુરના આસામ રાઇફલ્સ કેમ્પમાં બની હતી.
બુધવારે સવારે, જવાને રાઈફલ ઉપાડી અને સાથીદારો પર ગોળીબાર કર્યો, જેમાં છ જવાનો ઘાયલ થયા. ત્યારપછી તેણે એ જ હથિયારથી પોતાને ગોળી મારી દીધી હતી.
અહેવાલો મુજબ ઈજાગ્રસ્ત જવાનો ન તો મેઇતેઇ સમુદાયના છે ન તો મણિપુરના રહેવાસી છે. ગોળીબાર પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે અને અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
આસામ રાઈફલ્સે એક નિવેદન બહાર પાડીને ભારપૂર્વક જણાવ્યું હતું કે “આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હાલમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડવી જોઈએ નહીં”.
આસામ રાઈફલ્સે જણાવ્યું કે “મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને ધ્યાનમાં રાખતા કોઈપણ સંભવિત અફવાઓને દૂર કરવા અને કોઈપણ અટકળોને ટાળવા માટે ઘટનાની વિગતો પારદર્શક રીતે શેર કરવી મહત્વપૂર્ણ છે. તમામ આસામ રાઇફલ્સ બટાલિયનમાં મણિપુરના વિવિધ સમુદાયોના લોકો સહિત દેશભરના જવાનો ફરજ બજાવે છે. સમાજના ધ્રુવીકરણ છતાં મણિપુરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તમામ કર્મચારીઓ સાથે રહીને કામ કરી રહ્યા છે.”
ગયા વર્ષના મે મહિનાથી મણિપુરમાં મેઇતેઇ (જે ઇમ્ફાલ ખીણમાં બહુમતીમાં છે) અને કુકી-ઝો સમુદાયો (જે થોડા પહાડી જિલ્લાઓમાં વસે છે) વચ્ચે વંશીય હિંસા શરુ થઇ હતી. અત્યાર સુધી હિંસામાં 20૦થી લોકોના મોત થયા છે અને લગભગ 50,000 લોકો વિસ્થાપિત થયા છે.