પાકિસ્તાનથી આ કારણોસર ભારત પાછી આવી અંજુ… ગુપ્તચર વિભાગે કરી લાંબી પૂછપરછ
![A silhouette of a woman walking across a border crossing](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/anju-.1.2469147.jpg)
નવી દિલ્હી: રાજસ્થાનની વતની અંજૂ 4 મહિના બાદ ભારત પાછી આવી છે. દરમીયાન અમૃતસરમાં પંજાબ પોલીસે અને આઇબીએ તેની સઘન પૂછપરછ કરી હતી. અંજુએ તેમને ભારત પાછા આવવાનું કારણ જણાવ્યું હતું. ત્યાર બાદ તે અમૃતસરથી દિલ્હી એરપોર્ટ પોંહચી છે. અને હવે અહીંથી તે ગ્વાલિયર તેના પિતાના ઘરે જશે.
પહેલાં ભારતથી પાકિસ્તાન પહોંચી. ત્યાર બાદ પરણિત હોવા છતાં તેણે પાકિસ્તાનના યુવક સાથે નિકાહ કર્યા હતાં. હવે ચાર મહિના બાદ અંજુ ભારત પાછી આવી છે. એ બુધવારે વાઘા બોર્ડર પહોંચી હતી. તેની સાથે તેનો પાકિસ્તાની પતિ નસરુલ્લાહ પણ હતો. જોકે વાઘા બોર્ડરથી અંજુને પંજાબ પોલીસ અને આઇબી પોતાની સાથે લઇ ગઇ. ત્યાં તેની પૂછ-પરછ કરવામાં આવી. ત્યાર બાદ તે અમૃતસરથી દિલ્હી એરપોર્ટ પહોંચી.
અહીંથી તે તેના પિતાના ઘરે એટલે કે મધ્ય પ્રદેશના ગ્વાલિયર જશે. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ અંજુએ કહ્યું કે હું બધા સવાલોના જવાબ આપીશ. પણ હમણાં નહીં. પણ અંજુએ પંજાબ પોલીસ અને આબીને તેના ભારત પાછા ફરવાનું કારણ કહી દીધું છે. તેણે પોલીસને કહ્યું કે તે અહીં તેના પહેલાં પતિ અરવિંદને તલાક આપવા માટે આવી છે. ઉપરાંત તે તેના બાળકોને પણ પાકિસ્તાન લઇ જવાનો પ્રયાસ કરશે.
હાલમાં અંજુ દિલ્હીમાં છે. ભારત પહોંચતા જ અંજુએ મીડિયા સામે પાકિસ્તાનની ખૂબ પ્રશંસા કરી. કહ્યું કે ત્યાંની મહેમાનગતી ખૂબ જ સારી છે. હું ભારત પાછી આવીને પણ ખૂબ ખૂશ છું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ એક પાકિસ્તાની યુટ્યૂબરને આપેલા ઇન્ટર્વ્યુમાં નસરુલ્લાહે કહ્યું હતું કે, અંજુ તેના બાળકો માટે જ ભારત જઇ રહી છે. ઓક્ટોબરમાં અંજુએ પણ કહ્યું હતું કે તેને બાળકોની બહુ યાદ આવે છે. તે તેમના માટે જ ભારત પાછી ફરશે અને તેના ભારતીય પતિ અરવિંદનું જુઠ્ઠાણું બધાની સામે લાવશે. તેણે કહ્યું કે તે તેના બાળકોના બધા જ પ્રશ્નોનો જવાબ આપશે. જો બાળકો તેની સાથે પાકિસ્તાન જવા રાજી હશે તો તેમને સાથે લઇને જશે અને જો તેમની ઇચ્છા નહીં હોય તો એ બાળકોને ફોર્સ નહીં કરે.
ભારત આવ્યા બાદ પંજાબ પોલીસ અને આઇબીએ અંજુની પૂછ પરછ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે 21મી જુલાઇ 2023ના રોજ પાકિસ્તાન ગઇ હતી. અને ત્યાં તેણે નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા. પણ લગ્ન સંબંધિત કોઇ પણ દસ્તાવેજ અંજુ પોલીસને બતાવી શકી નહતી.