
કોનાસીમા :આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લામાં સોમવારે બપોરે ઓએનજીસીના ગેસના કૂવામાં લાગેલી ભીષણ આગ પર હજુ કાબૂ મેળવાયો નથી. આ આગ પર કાબૂ મેળવવા માટે મુંબઈ અને દિલ્હીથી ઓએનજીસી નિષ્ણાતોની ટીમો પહોંચી ગઈ છે. સોમવારની સરખામણીમાં આગની તીવ્રતા ઓછી થઈ ગઈ છે પરંતુ તેને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે નિષ્ણાતોનું મૂલ્યાંકન જરૂરી છે.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત
આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. આ અંગે સંયુક્ત કલેક્ટર ટી. નિસંથીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડ તાપમાન ઘટાડવા માટે આસપાસના વૃક્ષો પર સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે આગ હજુ પણ વધી રહી છે. પરંતુ સોમવારની તુલનામાં તેની તીવ્રતા ઓછી થઈ છે. નિષ્ણાત ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે આગ ઓલવવામાં માટે કાર્યવાહી કરવામાં આવશે.
600 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર વિભાગ એસડીઆરએફ અને ડિઝાસ્ટર ઓથોરિટીની ટીમ અને રેડ ક્રોસના કર્મચારીઓ આગ નિયંત્રણની કામગીરીમાં રોકાયેલા છે. જયારે સલામતીને ધ્યાનમાં રાખીને સોમવારે નજીકના ત્રણ ગામોમાંથી લગભગ 600 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…આંધ્રપ્રદેશમાં ઓએનજીસીના તેલના કુવામાંથી ગેસ લીકેજ, લોકોમાં ગભરાટ
આગ ઓલવવા ઓએનજીસી કર્મચારીઓ કાર્યરત
આ ઘટના બાદ અનેક લોકો પહેલાથી જ તેમના ઘર છોડીને ભાગી ગયા હતા અને તેમના પશુધનને સલામત સ્થળે ખસેડી લીધા હતા. તેમજ લોકોને વીજળીનો ઉપયોગ ન કરવા, વિદ્યુત ઉપકરણો ચાલુ ન કરવા અથવા સ્ટવ સળગાવવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. આગને કાબુમાં લેવા અને આગ ઓલવવા માટે ઓએનજીસી કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.



