શરદ પવાર લીડર ઓફ કરપ્શન: અમિત શાહ,ઉદ્ધવ ઠાકરે માટે ‘ઔરંગઝેબ ફેન ક્લબના નેતા’નો શબ્દ પ્રયોગ

પુણે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે વિપક્ષી ગઠબંધનના મોટા નેતા અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ દેશમાં લીડર ઓફ કરપ્શન (ભ્રષ્ટાચાર આચરવામાં બધાના નેતા) છે.
ભાજપના રાજ્ય અધિવેશનને પુણેમાં સંબોધતાં તેમણે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો હોવા છતાં તેઓ સંસદમાં ઘમંડનું પ્રદર્શન કરી રહ્યા છે.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ એ જ વ્યક્તિ છે જે 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના દોષી યાકુબ મેમણની દયા યાચના કરનારા લોકોની સાથે બેઠા છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 2014 અને 2019 કરતાં પણ સારો દેખાવ કરશે.
આ પણ વાંચો :શરદ પવારે આ મુદ્દે એકજૂથ થવાની લોકોને કરી મોટી અપીલ
શરદ પવારે ભ્રષ્ટાચારને વ્યવહાર બનાવી દીધો હતો, એમ ભાજપના સિનિયર નેતાએ કહ્યું હતું.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દેશની જનતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડા પ્રધાનપદ માટે મંજૂરીની મહોર લગાવી છે. શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની વિધાનસભાની આગામી ચૂંટણીમાં આપણે ભવ્ય વિજય નોંધાવીશું ત્યારે રાહુલ ગાંધીનો ઘમંડ કચડાઈ જશે.
તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે એવા લોકો સાથે બેઠા છે જેમણે 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણ માટે દયા યાચનાની અરજી કરી હતી. ઔરંગઝેબ ફેન ક્લબ કોણ છે? જો લોકોએ (26-11ના આતંકવાદી હુમલાના દોષી) કસાબને બિરયાની ખવડાવી હતી. એ લોકો જેમણે યાકુબ મેમણ માટે દયાની અરજી કરી હતી. એ લોકો જેમણે (વિવાદાસ્પદ ઈસ્લામિક પ્રચારક) ઝાકીર નાઈકને મેસેન્જર ઓફ પીસ એવોર્ડ આપ્યો હતો અને જે લોકો (પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન) પીએફઆઈને ટેકો આપે છે. ઉદ્ધવ ઠાકરેને આવા લોકો સાથે બેસવાની શરમ આવવી જોઈએ.
ભાજપના કાર્યકર્તાઓને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો (જેમાં પાર્ટી 2019ની 23 બેઠક પરથી 2024માં નવ બેઠક પર આવી ગઈ હતી)થી હતાશ થવાની આવશ્યકતા નથી. સરકાર દ્વારા લેવામાં આવેલા સારા કામ અને લોક કલ્યાણની યોજનાઓને જનતા સુધી લઈ જઈને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ફરી દેખાવ સુધારો કરી શકાશે.
મહારાષ્ટ્રના ભાજપના દરેક કાર્યકર્તાએ પક્ષના વિજય માટે મહેનત કરી છે. ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ 2019 અને 2014 કરતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. આપણે અત્યંત આકરી મહેનત કરવાની છે કેમ કે આપણે પોતાના માટે જ ઊંચો લક્ષ્યાંક રાખ્યો છે. મહારાષ્ટ્રમાં ભગવો ફરી લહેરાવો જોઈએ, એમ ભારપૂર્વક જણાવતાં તેમણે પુણે શહેરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ એ બાળ ગંગાધર ટિળકની ભૂમિ છે જેમણે દેશને નારો આપ્યો હતો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ રહીશ. (પીટીઆઈ)