નેશનલ

‘UPA સરકાર સમયે અમેરિકાએ નમવું પડ્યું હતું…’ કોંગ્રેસે યાદ કરાવ્યો દેવયાની કેસ; જાણો શું હતો મામલો

નવી દિલ્હી: યુએસમાં ગેરકાયદે વસતા ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલનો મુદ્દો હાલ ચર્ચાના (Deportation of Indians from US) કેન્દ્રમાં છે. ઇમિગ્રન્ટ્સને સાંકળ અને હાથકડી પહેરાવીને પરત મોકલવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેના કટેલાક કથિત વીડિયો અને ફોટા પણ સામે આવ્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ અંગે સરકારને ઘેરવાના મૂડમાં છે. કોંગ્રેસે મનમોહન સિંહ વડાપ્રધાન હતાં ત્યારે બનેલા દેવયાની ખોબરાગડે કેસ (Devyani Khobragade Case)ને યાદ કર્યો. કોંગ્રેસ નેતા પવન ખેરાએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે પોસ્ટ કરી છે.

પવન ખેરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે અમેરિકામાંથી ભારતીયોને હાથકડી પહેરાવીને અને અપમાનિત કરીને પાછા મોકલવામાં આવી રહ્યા છે, એક ભારતીય તરીકે આ તસવીરો જોઈને મને દુઃખ થાય છે. મને ડિસેમ્બર 2013 ની ઘટના યાદ છે, જ્યારે ભારતીય રાજદ્વારી દેવયાની ખોબરાગડેની અમેરિકામાં હાથકડી લગાવીને કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી. તેમણે આગળ લખ્યું કે વિદેશ સચિવ સુજાતા સિંહે અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો.

UPA સરકારે આપ્યો હતો વળતો જવાબ:
પવન ખેરાએ લખ્યું કે UPA સરકારે ત્યારે આ મુદ્દા પર કડક પ્રતિક્રિયા આપી હતી. મીરા કુમાર, સુશીલ કુમાર શિંદે અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ ભારતની મુલાકાતે આવેલા યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ (જ્યોર્જ હોલ્ડિંગ, પીટ ઓલ્સન, ડેવિડ શ્વેઇકર્ટ, રોબ વુડોલ અને મેડેલીન બોર્ડાલો) ને મળવાનો ઇનકાર કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે અમેરિકાના આ પગલાંને ‘નિંદનીય’ ગણાવ્યું હતું.

અમેરિકાને નમવું પડ્યું હતું:
એ સમયે ભારત સરકારે યુએસ દૂતાવાસને આપવામાં આવેલી ઘણી સુવિધાઓ પાછી ખેંચી લીધી હતી. દૂતાવાસના કર્મચારીઓ માટે ફૂડ અને દારૂની રાહત દરે આયાતની પરવાનગીનો રદ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે અમેરિકન દૂતાવાસની શાળાની તપાસ શરૂ કરી હતી.

જોન કેરીએ દેવયાની ખોબરાગડે સાથે કરવામાં આવેલા વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. અમેરિકન વહીવટીતંત્રે વિદેશ સચિવ સુજાતા સિંહને ફોન કરીને અમેરિકા વતી દિલગીરી વ્યક્ત કરી હતી.

શું હતો દેવયાની વિવાદ?
દેવયાની ખોબરાગડે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં અધિકારી છે. વર્ષ 2013માં, દેવયાનીને ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટમાં પોસ્ટ કરવામાં આવ્યા હતાં. તેમને ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા. દેવયાનીની ઘરકામ કરતી નોકરાણી સંગીતા રિચાર્ડ્સને ઓછો પગાર આપવા અને તેના વિઝા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા

યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ બાદ દેવયાની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે રાજદ્વારી શિષ્ટાચારની વિરુદ્ધ હતું. જાહેરમાં તેમને હાથકડી પહેરાવવામાં આવી એટલું જ નહીં, તેમની કપડાં ઉતારીને તલાશી પણ લેવામાં આવી.

આ ગંતે તત્કાલીન UPA સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button