ટોપ ન્યૂઝનેશનલ

અમરનાથ યાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, હોટલ અને હાઉસ બોટ એસોસિએશને જાહેર કર્યું 50 ટકા ડિસ્કાઉન્ટ…

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રિલ માસમાં થયેલા આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પ્રારંભ થશે. આ વર્ષે અમરનાથ યાત્રા માટે 3.31 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી છે. જે જમ્મુ કાશ્મીરના ટુરિઝમ ક્ષેત્રને પીઠબળ પૂરું પાડશે. જેના પગલે જમ્મુ કાશ્મીર હોટેલ એસોસિએશન અને હાઉસ બોટ એસોસિએશને પ્રવાસીઓ માટે 50 ટકા થી વધુ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ મુસાફરો માટે અમરનાથ યાત્રા માટે 250 બસો તૈનાત કરશે. જે યાત્રાળુઓ માટે જમ્મુ અને કાશ્મીર વચ્ચે દરરોજ 100 બસો દોડાવવામાં આવશે.

દેશના લોકો માટે એક સકારાત્મક સંદેશ
પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રથમ વાર આટલા બધા પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર આવી રહ્યા છે. જેના પગલે હાઉસ બોટ એસોસિએશન અને હોટેલિયર્સનું માનવું છે આ દેશના લોકો માટે એક સકારાત્મક સંદેશ છે. ઓપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. અમરનાથ યાત્રાની આતુરતાથી રાહ જોઈ રહેલા આ લોકોને આશા છે કે યાત્રા શરૂ થવાથી જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન પણ વધશે.

Rising Kashmir

બસો યાત્રાના બે રૂટ પહલગામ અને બાલતાલ પર દોડશે
અમરનાથ શ્રાઇન બોર્ડની સાથે જમ્મુ અને કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પણ 3 જુલાઈથી અમરનાથ યાત્રા પર આવતા મુસાફરો માટે 250 થી વધુ બસો ઉપલબ્ધ રાખવાની જાહેરાત કરી છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ બસો યાત્રાના બે રૂટ પહલગામ અને બાલતાલ પર દોડશે. આ ઉપરાંત આ બસો મુસાફરોની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળો માટે પણ ઉપલબ્ધ રહેશે. તેમજ જો મુસાફરોની સંખ્યા વધશે બસોની સંખ્યા વધુ વધારવામાં આવશે.

પહલગામ રૂટ પર અદ્યતન ફેસ રીડિંગ સિસ્ટમ લાગુ
અમરનાથ યાત્રા દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા અને આતંકવાદી ખતરાને રોકવા માટે અમરનાથ યાત્રાના પહલગામ રૂટ પર અદ્યતન ફેસ રીડિંગ સિસ્ટમ (FRS) લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ સુરક્ષા કર્મચારીઓને વાસ્તવિક સમયે ચેતવણી આપવા માટે બનાવવામાં આવી છે. તેમજ દેખરેખ વધારવા માટે કુખ્યાત આતંકવાદીઓ અને શંકાસ્પદ ઓવરગ્રાઉન્ડ લોકોના ફોટોગ્રાફ્સ પહેલાથી જ સિસ્ટમના ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા છે. કેમેરા ફ્રેમમાં કોઈ ચિહ્નિત વ્યક્તિ પ્રવેશતાની સાથે જ સર્વેલન્સ સેન્ટર પર એક હૂટર વાગે છે, જેનાથી સુરક્ષા દળો તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે છે અને ખતરાને નિષ્ક્રિય કરી શકે છે.

કેન્દ્ર સરકાર પણ સતર્ક
આ વખતે ફક્ત શ્રાઇન બોર્ડ અને વહીવટ જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર પણ અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા અંગે સતર્ક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન યાત્રા માટેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને યાત્રાને સફળ બનાવવા માટે તમામ પગલાં લેવાના આદેશો કરવામાં આવ્યા છે.

આપણ વાંચો : અમરનાથ યાત્રામાં સુરક્ષા દળોની 581 કંપનીઓ તૈનાત કરાશે, માત્ર 38 દિવસ ચાલશે યાત્રા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button