
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં આતંકવાદીઓનું આશ્રય સ્થાન બનેલી અલ ફલાહ યુનિવર્સિટીની મુશ્કેલીમાં વધારો થયો છે. એનઆઈએ દ્વારા આ યુનિવર્સિટીની તપાસ કરવામાં આવી રહી છે. તેવા સમયે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટેના આયોગે અલ-ફલાહ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી છે. તેમજ તેનો લઘુમતી સંસ્થાનો દરજ્જો રદ થઈ શકે છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં યુનિવર્સિટીના બે ડોક્ટરની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા છે.
આ નોટિસની સુનાવણી 4 ડિસેમ્બરે કરવામાં આવશે
આ અંગે મળતી માહિતી મુજબ આયોગ દ્વારા આ નોટિસની સુનાવણી 4 ડિસેમ્બરે કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટી રજિસ્ટ્રાર અને શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ પોતાના મંતવ્યો રજૂ કરશે. કમિશન તપાસ કરશે કે શું યુનિવર્સિટી હજુ પણ લઘુમતી સમુદાય દ્વારા સંચાલિત છે જેના માટે તેને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો અને શું તેના માલિકી અથવા નિયંત્રણમાં કોઈ ફેરફાર થયો છે.
વિદ્યાર્થીઓના વાલીઓ સતત ચિંતામાં
આ ઉપરાંત અલ ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સતત ચિંતા અનુભવી રહ્યા છે. મંગળવારે અનેક પરિવારોએ યુનિવર્સિટીની મુલાકાત લીધી અને કહ્યું કે તેમને હવે યુનિવર્સિટી વહીવટ પર વિશ્વાસ નથી. ગયા અઠવાડિયે, 25 વાલીઓ યુનિવર્સિટી વહીવટીતંત્ર સાથે મળવા માંગતા હતા, પરંતુ તેમને ત્રણ ડોકટરો પાસે મોકલવામાં આવ્યા હતા. આ પછી, વાલીઓ હવે સરકારનો સંપર્ક કરવાનું વિચારી રહ્યા છે. જેની માટે મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…EDએ કરી અલ ફલાહ ગ્રુપના ફાઉન્ડરની ધરપકડ, 415 કરોડના ગેરકાયદે આવકનો પર્દાફાશ



