નેશનલ

અનામત મુદ્દે અખિલેશ યાદવે કહ્યું “ભાજપની વિચારસરણી કાયમ અનામત વિરોધી”

નવી દિલ્હી: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે SC-ST અનામતને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ નિર્ણય 6-1ની બહુમતીથી આપવામાં આવ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી જ્ઞાતિઓ એવી છે કે જેઓ અનામત મળ્યા બાદ પણ પાછળ રહી ગઈ છે. આ તમામ જ્ઞાતિઓને અનામત હેઠળ વધારાના લાભો આપીને તેમને આગળ લઈ જઈ શકાય છે. કોર્ટના આ ચુકાદા પર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે “કોઈપણ પ્રકારના અનામતનો ઉદ્દેશ અપેક્ષિત સમાજના સશક્તિકરણનો હોવો જોઈએ, કોઇ સમાજના વિભાજન કે વિઘટનનો ન હોવો જોઈએ. તેનાથી આરક્ષણના મૂળ સિદ્ધાંતની અવગણના થાય છે. કેટકેટલી પેઢીઓથી ચાલ્યા આવતા ભેદભાવ અને તકોની અસમાનતાની ઊંડી ખાણને અમુક પેઢીથી આવેલા પરિવર્તનથી પૂરી શકાય તેમ નથી. ‘અનામત’ શોષિત,વંચિત સમાજને સશક્ત અને સબળ કરવાનો બંધારણીય માર્ગ છે અને તેનાથી જ બદલાવ આવશે. તેની જોગવાઈઓને બદલવાની જરૂર નથી. “

તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે “ભાજપ સરકાર દર વખતે તેના ગોળગોળ નિવેદનો અને દલીલો દ્વારા અનામતની લડાઈને નબળી પાડવાનો પ્રયાસ કરે છે, પછી જ્યારે પીડીએ દ્વારા દબાણ કરવામાં આવે છે, ત્યારે સહાનુભૂતિ દર્શાવીને પીછેહઠ કરવાનો દંભ કરે છે. ભાજપની અંગત વિચારસરણી કાયમ અનામત વિરોધી રહી છે. એ માટે ભાજપ સરકાર પરથી પીડીએ સમાજના 90 ટકા લોકોનો ભરોસો ઊડી ગયો છે અને અનામતના વિષય પર ભાજપની વિશ્વસનીયતા શૂન્ય થઈ ગઈ છે. પીડીએ માટે બંધારણ ‘સંજીવની’ છે અને આરક્ષણ ‘પ્રાણવાયુ’.

આ પણ વાંચો : NEETના મુદ્દે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 1 ઓગસ્ટના રોજ આપેલ ચુકાદામાં કહ્યું હતું કે, “રાજ્યોને અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે, જેથી તે જાતિઓને અનામત આઆપી શકાય કે જેને અનામત મળવા છતાં પણ તેઓ હજુ પછાત રહી ગયા હોય.” જો કે આ વર્ગીકરણ પછાતપણા અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના આંકડાઓ પર કરવાનું રહેશે પોતાની મરજી કે રાજકીય લાભના આધારે નહિ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button