નેશનલ

અજિત પવાર આક્રમક! પાર્ટી સાથે છેડો ફાડનારા વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવાની તૈયારી

મુંબઈ: નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના તમામ સાત વિધાનસભ્યો શનિવારે શાસક એનડીપીપીમાં જોડાઈ ગયા હતા. જેને કારણે મુખ્ય પ્રધાન નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે. આ વિલીનીકરણ સાથે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના વિધાનસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ છે.

શરદ પવારની એનસીપીમાં વિભાજન પછી નાગાલેન્ડ એકમે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને ટેકો આપ્યો હતો. 2023ની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સાથી એનસીપી ભાજપ પછી રાજ્યમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા હતા અને 12 બેઠકો જીતી હતી. વિધાનસભા અધ્યક્ષ શેરિંગન લોંગકુમાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ તમામ સાત વિધાનસભ્યો રૂબરૂ હાજર થયા અને એનડીપીપીમાં ભળી જવાના તેમના નિર્ણયને દર્શાવતા ઔપચારિક પત્રો સુપરત કર્યા. તેમણે કહ્યું હતું કે આ વિલીનીકરણ બંધારણની દસમી અનુસૂચિ હેઠળ બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

આ પણ વાંચો: નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં, જાણો કેમ?

નાગાલેન્ડમાં એનસીપીના તમામ વિધાનસભ્યો એનડીપીપીમાં જોડાયા પછી એનસીપીએ આની ગંભીર નોંધ લીધી છે અને હાલમાં આ વિધાનસભ્યો સામે પાર્ટીના આંતરિક પ્રતિબંધ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં છે, એમ પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા બ્રિજમોહન શ્રીવાસ્તવે એક પત્રમાં જણાવ્યું હતું. ગઈ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક નાગરિકો દ્વારા એનસીપીને આપવામાં આવેલા આદેશનું અપમાન છે અને અમે ટૂંક સમયમાં તેમનો પક્ષ સમજવા માટે તેમની સાથે વાત કરીશું. અમે આ મામલો કાનૂની અને રાજકીય સ્તરે લડીશું, એમ તેમણે એમ પણ કહ્યું છે.

નાગાલેન્ડ વિધાનસભા સભ્યો (પક્ષપલટાના આધારે ગેરલાયકાત) નિયમો, 2019 મુજબ સ્પીકરે વિલીનીકરણને મંજૂરી આપી હતી અને વિધાનસભા સચિવાલયને તે મુજબ પક્ષ જોડાણ રેકોર્ડ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, એમ આદેશમાં જણાવાયું છે. રાજ્યમંત્રી કેજી કેન્યેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, એનસીપીના 7 વિધાનસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને તેમનો વિલીનીકરણ પત્ર સુપરત કર્યો હતો જેનો તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે. આ સાથે, 14મી નાગાલેન્ડ વિધાનસભામાં એનડીપીપીના સભ્યોની સંખ્યા 25 થી વધીને 32 થઈ ગઈ છે.

આ પણ વાંચો: નાગાલેન્ડમાં યુસીસી વિરોધી ઠરાવ સામે ભાજપ કેમ ચૂપ?

રાજ્ય સરકારના પ્રવક્તા કેન્યેએ કહ્યું, ‘આ વિકાસ અમારા મુખ્ય પ્રધાન અને સરકારના પ્રદર્શનને મજબૂત બનાવશે.’ શાસક ગઠબંધનમાં બેઠકોની વહેંચણી વ્યવસ્થા પર વિલીનીકરણની કેવી અસર પડશે તે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી.

રાજ્યમાં પક્ષ બદલનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો નથી. 32 એનડીપીપી અને 12 ભાજપના વિધાનસભ્યો ઉપરાંત રાજ્ય વિધાનસભામાં પાંચ એનપીપી, એલજેપી (રામવિલાસ), નાગા પીપલ્સ ફ્રન્ટ અને આરપીઆઈ (આઠવલે)ના બે-બે, જેડીયુના એક અને ચાર અપક્ષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button