નેશનલ

એર ઇન્ડિયાની દશા માઠી બેઠી, 12 કલાકમાં બીજી ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ પરત એરપોર્ટ પર લાવવામાં આવી

હોંગકોંગ-દિલ્હી બાદ દિલ્હી-રાંચી ફ્લાઇટમાં ખામી સામે આવી

નવી દિલ્હીઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા ડ્રીમલાઈનરની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. હોંગકોંગથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું.

આ પછી દિલ્હીથી રાંચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ પરત દિલ્હી લઈ જવામાં આવી હતી. આ ફ્લાઈટને સાંજે 6.20 કલાકે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરાણ કરવાનું હતું. જોકે ઉડાન બાદ પરત દિલ્હી લઈ જવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારી એક ફ્લાઇટે ટેકઓફ કર્યા બાદ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. નિરીક્ષણ અને મંજૂરી બાદ વિમાન નિયમિત ઉડ્ડયન ચાલુ રાખશે.

અમદાવાદમાં શું થયું હતું

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાને ઉડાન ભર્યાના ગણતરીની સેકંડમાં જ તૂટી પડ્યું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. આ વિમાન લંડન જતું હતું. વિમાન બી જે મડિકલ કોલેજની ઈમારત સાથે અથડાયું હતું. જેમાં પ્લેનમાં સવાર એક વ્યકિતને છોડીને તમામના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 290 લોકોના મોત થયા છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું.

લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના

લખનઉ એરપોર્ટ પર સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર એસવી-3112ના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી આવવાથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટની સૂઝબુઝ અને એરપોર્ટ કર્મચારીઓની સતર્કતાથી તમામ મુસાફરોને વિમાનમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ ફ્લાઈટમાં 250 હજ મુસાફરો સવાર હતા. હજ યાત્રીઓને લઈ જતી સાઉદી એરલાઈન્સના વિમાનના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનના વ્હીલમાંથી આગ અને ધુમાડો નીકળ્યો હતો. જે બાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ વિમાન સાઉદીના જેદ્દાથી હજ યાત્રીઓને લઈ લખનઉ આવ્યું હતું.

આ પણ વાંચો…એર ઇન્ડિયાએ ચિંતા વધારી! વધુ એક ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાઈ, હોંગકોંગથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button