ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ ભારતમાં જ છે, એએઆઈબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે: કે. રામમોહન નાયડુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન કે. રામમોહન નાયડુએ મંગળવારે પુણેમાં જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે અને એવી અટકળોને રદિયો આપ્યો હતો કે તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવશે.
12 જૂને બપોરે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદની એક હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં વિમાનમાં સવાર 241 લોકો સહિત 270 લોકો માર્યા ગયા હતા, જ્યારે એક મુસાફર બચી ગયો હતો.
એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનનું બ્લેક બોક્સ 13 જૂને સ્થળ પરથી મળી આવ્યું હતું.
બ્લેક બોક્સ એ એક નાનું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. તે ઉડ્ડયન અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?
ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે તેવા કેટલાક મીડિયા અહેવાલો અંગે પૂછવામાં આવતા, નાયડુએ કહ્યું, ‘..આ બધી અટકળો છે. બ્લેક બોક્સ ભારતમાં છે અને હાલમાં તેની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) દ્વારા કરવામાં આવી રહી છે.’
બ્લેક બોક્સનો ડેટા ક્યારે મેળવવામાં આવશે તે અંગેના સવાલના જવાબમાં પ્રધાને કહ્યું હતું કે તે ખૂબ જ ટેકનિકલ બાબત છે. ‘એએઆઈબીને તપાસ કરવા દો અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવા દો,’ એમ તેમણે ઉમેર્યું હતું.
નાયડુ અહીં નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંયુક્ત રીતે ફિક્કી દ્વારા આયોજિત હેલિકોપ્ટર અને નાના વિમાન સમિટ 2025ના સમારંભમાં હાજરી આપવા આવ્યા ત્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા.
આ પણ વાંચો: 1000 ડિગ્રી તાપમાનમાં પણ કઈ રીતે સુરક્ષિત રહ્યું બ્લેક બોક્સ? શું છે આ પાછળનું કારણ…
સરકારે ઘટના પછી જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય પેનલની રચના કરવામાં આવી છે અને તપાસ સરળતાથી આગળ વધી રહી છે.
‘બ્લેક બોક્સને ડીકોડ કરવાથી વિમાન દુર્ઘટના પહેલા શું બન્યું હતું તેની ઊંડાણપૂર્વકની સમજ મળશે,’ એમ નાયડુએ અગાઉ કહ્યું હતું.