એર ઈન્ડીયાની લંડન- બેંગલુરુ ફ્લાઈટને ગ્રાઉન્ડેડ કરાઈ, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ

નવી દિલ્હી : એર ઈન્ડીયાના લંડનથી બેંગલુરુ આવી રહેલા વિમાનને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. જેમાં પાઈલોટે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં સંભવિત ખામીની જાણ કર્યા બાદ સેફ લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન લંડનના હિથ્રો એરપોર્ટથી બેંગલુરુ આવવાનું હતું.
પાયલોટે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં સમસ્યાની જાણ કરી
આ અંગે એર ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે એક પાયલોટે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં સમસ્યાની જાણ કર્યા બાદ તેણે તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર્સમાંથી એકને ગ્રાઉન્ડેડ કર્યું હતું. ફ્લાઇટ લંડનથી બેંગલુરુ આવવાની હતી. ઉલ્લેખનીય છે ગત વર્ષે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ માં ખામીને કારણે અમદાવાદમાં એક જીવલેણ વિમાન દુર્ઘટના થઈ હતી. જેમાં 260 લોકો માર્યા ગયા હતા.
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ કટ-ઓફ પોઝિશન પર પરત ફરી હતી
એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એન્જિન શરૂ થવા દરમિયાન ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બે વાર રન પોઝિશનમાં નિષ્ફળ થઈ હતી અને કટ-ઓફ પોઝિશન પર પરત ફરી હતી. તેથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી.
બોઇંગ ડ્રીમલાઇનરમાં બે એન્જિન
બોઇંગ ડ્રીમલાઇનરમાં બે એન્જિન હોય છે. દરેક એન્જિનમાં એક સ્વીચ છે. અમદાવાદ અકસ્માતની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેકઓફના એક સેકન્ડમાં બંને સ્વીચ અચાનક “રન” થી “કટઓફ” મોડમાં આવી ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ DGCA ને કરવામાં આવી
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખામીનો અહેવાલ મળતાં જ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું અને સેવામાંથી દૂર કરવામાં આવ્યું હતું. કંપનીએ આ મુદ્દાની તપાસ માટે વિમાન ઉત્પાદકને બોલાવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ DGCA ને કરવામાં આવી છે. સલામતી સુનિશ્ચિત કરવા માટે એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનના સ્વીચો તપાસી છે. તેમજ અન્ય કોઈ ખામી જોવા મળી નથી. એર ઇન્ડિયા જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે.



