ઈરાન ઇઝરાયલ યુદ્ધથી વધતા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફ્લાઇટ રદ કરી

નવી દિલ્હી : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. જ્યારે અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ ઈરાને કતારમાં યુએસ એરબેઝ પર મિસાઈલ છોડી હતી. જેના પગલે એર ઈન્ડિયાએ સોમવારે મિડલ ઈસ્ટની બધી ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. એરલાઈને જણાવ્યું હતું કે અમેરિકાના ઉત્તરી કિનારાથી યુરોપ જતી બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી રહી છે.એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકાથી ભારત આવતી બધી ફ્લાઇટ્સ પાછી મોકલવામાં આવી રહી છે, જ્યારે અન્ય વિમાનોને કાં તો ભારત પાછા બોલાવવામાં આવી રહ્યા છે અથવા બંધ એરસ્પેસમાંથી દૂર મોકલી દેવામાં આવી રહ્યા છે.
પ્રભાવિત મુસાફરોને આ વર્તમાન પરિસ્થિતિને સમજવા વિનંતી
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ તમામ પ્રભાવિત મુસાફરોને આ વર્તમાન પરિસ્થિતિને સમજવા વિનંતી કરે છે. જે તેમના નિયંત્રણની બહાર છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયા સુરક્ષા સલાહકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મુસાફરોને તમામ અપડેટ્સ વિશે જાણ કરવામાં આવશે. મુસાફરોની સલામતી એરલાઈન્સની પ્રથમ પ્રાથમિકતા છે.
કતારમાં અમેરિકન બેઝ પર હુમલો
ઉલ્લેખનીય છે કે એરલાઈન દ્વારા સોમવારે ઈરાને કતારમાં યુએસ એરબેઝને નિશાન બનાવ્યું ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ અમેરિકાએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ મથકો પર મોટો હુમલો કર્યો હતો. કતારની રાજધાનીમાં વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો હતો. કતારમાં છ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી.
આ પણ વાંચો…ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાકે એરસ્પેસ બંધ કરી, કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી