યશસ્વી પછી બુમરાહની પણ કમાલથી ભારત વિજયની દિશામાં
વિશાખાપટ્ટનમ: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે પ્રથમ મૅચ ૨૮ રનથી જીતીને ભારતને આંચકો આપ્યો હતો, પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શુક્રવારના પહેલા દિવસે બ્રિટિશરો પર અંકુશ જમાવ્યા પછી શનિવારના બીજા દિવસે પરાજય તરફ ધકેલ્યા હતા.
ભારતે પ્રથમ દાવમાં યશસ્વી જયસ્વાલની પ્રથમ ડબલ સેન્ચુરીની મદદથી ૩૯૬ રન બનાવ્યા હતા જેના જવાબમાં બેન સ્ટૉક્સની ટીમ ફક્ત ૨૫૩ રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ભારતને ૧૪૩ રનની સરસાઈ
મળી હતી અને શનિવારની રમતના અંતે બીજા દાવનો સ્કોર વિના વિકેટે ૨૮ રન
હતો એટલે લીડ સાથે ભારતના ૧૭૧ રન હતા.
બૅટિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (૨૦૯ રન, ૪૨૩ મિનિટ, ૨૯૦ બૉલ, સાત સિક્સર, ઓગણીસ ફોર) ઝળક્યો હતો તો બોલિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૧૫.૫-૫-૪૫-૬)એ બૅટિંગ-પિચ પર રિવર્સ સ્વિંગની કરામતથી ઇંગ્લૅન્ડના બૅટર્સને ઊંઘતા ઝડપી લીધા હતા. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાના સ્થાને રમેલા કુલદીપ યાદવે ત્રણ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. આર. અશ્ર્વિન અને મુકેશ કુમારને વિકેટ નહોતી મળી, પણ બીજા દાવમાં તેઓ પણ બ્રિટિશ બૅટર્સને મુસીબતમાં મૂકી દેશે તો નવાઈ નહીં લાગે.
આ મૅચમાં પુષ્કળ સમય (ત્રણ દિવસ) બાકી હોવાથી ભારત જીતીને સિરીઝ આસાનીથી ૧-૧થી લેવલ કરી શકે એમ છે.