અયોધ્યા રામમંદિર પરિસરમાં જવાન(SSF)ની રાઈફલમાંથી અચાનક છૂટી ગોળી, જવાનનું મોત
![A soldier's (SSF) rifle fired suddenly in Ayodhya Ram Mandir premises](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/A-soldiers-SSF-rifle-fired-suddenly-in-Ayodhya-Ram-Mandir-premises.webp)
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં બુધવારે ચોંકાવનારી ઘટના બની હતી, સશસ્ત્ર સીમા દળ (SSF)ના જવાનની રાઈફલમાંથી આકસ્મિક રીતે ગોળીબાર થયો હતો, જેને કારણે જવાનું મોત નીપજ્યું છે. મૃતક જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા આંબેડકર નગરના રહેવાસી હતો, તેને રામ મંદિર પર ફરજ પર તૈનાત કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મોડી રાત્રે સર્વિસ વેપનની ખોટી રીતે હેન્ડલ કરવાને કારણે બની હતી.
ગોળીબાર બાદ બાકીના સુરક્ષાકર્મીઓ શત્રુઘ્ન વિશ્વકર્માને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે જણાવ્યું કે મૃતક જવાનનું પોસ્ટમોર્ટમ હાલમાં ચાલી રહ્યું છે.
તાજેતરના મહિનાઓમાં રામ જન્મભૂમિ સંકુલમાં આ બીજી ઘટના છે. માર્ચમાં, પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) કમાન્ડો હથિયાર સાફ કરી રહ્યો હતો, ત્યારે “આકસ્મિક ગોળી” છૂટી હતી, જેમાં જવાનને ઈજા પહોંચી હતી.