નેશનલ
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૫૨ નવા કેસ અને ચાર મોત
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૭૫૨ કોરોના વાઇરસના નવા કેસ નોંધાયા છે. જે ૨૧ મે, ૨૦૨૩ પછી સૌથી વધુ છે. આ સાથે સક્રિય કેસ વધીને ૩,૪૨૦ થઇ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે અપડેટ કરાયેલા ડેટામાં આ આંકડો સામે આવ્યો છે. નવા ડેટા જણાવે છે કે ૨૪ કલાકના ગાળામાં કેરળમાંથી બે અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક એમ ચાર મોત થતા મૃત્યુઆંક ૫,૩૩,૩૩૨ થવા પામ્યો હતો. દેશમાં કોવિડ કેસની સંખ્યા ૪.૫૦ કરોડ (૪,૫૦,૦૭,૯૬૪) છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૭૧,૨૧૨ થઇ ગઇ છે અને રાષ્ટ્રીય રિક્વરી રેટ ૯૮.૮૧ ટકા છે. મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. મંત્રાલયની વેબસાઇટમાં જણાવાયું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.