
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને એક વર્ષ પૂરું થયું છે. 4 જૂન 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને 9 જૂન, 2024ના રોજ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની હતી. એક વર્ષમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે.
એક રાષ્ટ્ર, એક ચૂંટણીઃ મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ છ મહિનામાં જ એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. સંસદના શિયાળુ સત્ર દરમિયાન 18 ડિસેમ્બર, 2024ના રોજ વિપક્ષના ભારે વિરોધ અને હંગામા વચ્ચે આ બિલ રજૂ થયું હતું અને જેપીસીને મોકલવામાં આવ્યું હતું.
ઈનકમ ટેક્સમાં ઘટાડોઃ મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળ દરમિયાન પૂર્ણ બજેટમાં નોકરિયાત વર્ગને મોટી રાહત આપતાં ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા વધારી હતી. 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તેવી નાણા પ્રધાને બજેટમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી એક કરોડ લોકોને કોઈ ટેક્સ નહીં લાગે.
આ પણ વાંચો: મોદી 3.0ઃ અઢારમી લોકસભાના પ્રથમ દિવસ કંઇક આવો હતો….
વક્ફ બિલઃ સરકારે થોડા મહિના પહેલા બજેટ સત્ર દરમિયાન જ વક્ફ સંશોધન બિલ સંસદના બંને ગૃહમાં પસાર રજૂ કર્યું હતું. આ બિલમાં વક્ફ સંપત્તિનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની સાથે વક્ફ બોર્ડ યૂઝરની જોગવાઈ સમાપ્ત કરવામાં આવી હતી. વક્ફ જાહેર કરવામાં આવેલી સંપત્તિને લઈ હવે કોઈ પણ પ્રકારના વિવાદની સ્થિતિમાં ત્રણ સ્તરની અપીલ સિસ્ટમ પણ હશે.
સિંધુ જળ સમજૂતીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ગુજરાતી સહિત 26 પ્રવાસીના મૃત્યુ થયા હતા. આ હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
જાતિ આધારિત વસ્તી ગણતરીઃ મોદી સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. મોદી સરકારની રાજકીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને વસ્તી ગણતરી 2027 નામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પીએમ મોદીના નેતૃત્વમાં સરકારના 11 વર્ષ પૂર્ણ, જે.પી. નડ્ડાએ ગણાવી અનેક સિદ્ધિઓ
ઓપરેશન સિંદૂરઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. આ ઓપરેશન અંતર્ગત સેનાએ પીઓકેમાં આતંકીઓના ઠેકાણાનું નામોનિશાન મીટાવું દીધું હતું. ભારતની કાર્યવાહીથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ એટેક કરવાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ બનાવ હતી.
ચિનાબ બ્રિજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કાશ્મીરને રેલવે માર્ગથી દેશના અન્ય ભાગો સાથે જોડતો આ પુલ 1500 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ રેલવે બ્રિજ એફિલ ટાવરથી ઊંચો છે. આ બ્રિજના લોકાર્પણ સાથે જ કટરાથી શ્રીનગર સુધી વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી.