મહારાષ્ટ્રમાં સાત મહિનામાં ૪,૮૭૨ નવજાતનાં મોત: આરોગ્ય પ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મૃત્યુને લઈને વિપક્ષોએ સરકાર પર ગંભીર સવાલો કરીને નિશાન તાક્યું હતું. વિપક્ષોના આ સવાલનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. તાનજી સાવંતે વિધાનસભામાં નવજાત બાળકોના મોતને લઈને અહેવાલ રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન રાજ્યમાં ઓછામાં ઓછા ૪,૮૭૨ નવજાત બાળકોના મોત થયા છે. એટ્લે રોજ લગભગ ૨૩ નવજાતના મૃત્યુ થયા હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે ૪,૮૭૨માંથી ૧૬ ટકા એટલે ૭૯૫ બાળકના શ્ર્વસન સંબંધિત વિવિધ બીમારીઓને લઈને મોત થયા છે. રાજ્યના મુંબઈ, થાણે, સોલાપુર, અકોલા અને નંદુરબારમાં સૌથી વધુ બાળકોના મોત થયા હતા. મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલોમાં નવજાત બાળકો માટે ખાસ ૫૨ રૂમ છે. સરકારી હૉસ્પિટલોમાં દરેક બીમાર બાળકોને દવા, ચેકઅપ અને પરિવહનની સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, એવું સાવંતે જણાવ્યું હતું. રાજ્યમાં બાળકોના મોતને લઈને શિવસેના યુબીટી, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથે સરકારના રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને વિધાનભવનની બહાર વિરોધ પ્રદર્શન કરતાં ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષના નેતાઓએ સફેદ કોટ, ગાળામાં સ્ટેથોસ્કોપ અને સ્ટ્રેચર લઈને સરકાર સામે વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યાં હતા.