
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. આજે, 1 જૂન 2025ના રોજ સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ 3,758 સક્રિય કેસ નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે ગઈકાલથી કુલ 363 નવા કેસ ઉમેરાયા છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટક અને કેરળમાં એક-એક એમ કુલ બે મૃત્યુ પણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ-19 ડેશબોર્ડ અનુસાર, 1 જૂન, 2025 સુધીમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 3,758 પર પહોંચી ગઈ છે, જે એક દિવસ અગાઉના 3,395 કેસ કરતા વધુ છે. છેલ્લા 24 કલાકમાં બે મૃત્યુ પણ નોંધાયા છે, જેમાં કર્ણાટક અને કેરળમાંથી એક-એક મૃત્યુનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં 63 વર્ષીય પુરુષનું નિધન થયું છે. તેઓ પલ્મોનરી ટીબી, બક્કલ મ્યુકોસાના સ્ક્વામસ સેલ કાર્સિનોમાથી પીડાઈ રહ્યા હતા અને આકસ્મિક રીતે કોવિડ-19 પોઝિટિવ પણ હોવાનું જણાયું હતું. કેરળમાં રવિવારે 24 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. કોવિડ-19 ઉપરાંત, તેઓ સેપ્સિસ હાઈપરટેન્શન અને DCLD (Decompensated Chronic Liver Disease) થી પણ પીડાતા હતા. આંકડામાં થયેલો આ વધારો ફરી એકવાર લોકોને સાવચેતી રાખવા અને કોવિડ-19ના સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરી રહ્યો છે.
આ પણ વાંચો: સરકારી ડોક્ટર ઑડિયો ક્લિપમાં સહકર્મીને કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’નું કહેતા સંભળાયા: ગુનો દાખલ
કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ
કોરોનાના કેસની રાજ્યવાર સ્થિતિની વાત કરવામાં આવે તો કેરળ સૌથી વધુ સક્રિય કેસ ધરાવતું રાજ્ય બની ગયું છે, જ્યાં 1400 સક્રિય કેસ નોંધાયા છે. ગઈકાલથી તેમાં 64 નો વધારો થયો છે. જ્યારે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે, જ્યાં 485 સક્રિય કેસ છે, અને ગઈકાલથી તેમાં 18 નો વધારો થયો છે. દિલ્હી માં 436 સક્રિય કેસ છે, જેમાં 61 કેસનો વધારો થયો છે. ગુજરાત માં 320 સક્રિય કેસ નોંધાયા છે, જેમાં ગઈકાલથી 55 નો વધારો જોવા મળ્યો છે. કર્ણાટક માં 238 સક્રિય કેસ છે, જેમાં 4 કેસનો વધારો થયો છે. અહીં એક મૃત્યુ પણ નોંધાયું છે. પશ્ચિમ બંગાળ માં 287 સક્રિય કેસ છે, જ્યારે તમિલનાડુ માં 199 અને ઉત્તર પ્રદેશ માં 149 સક્રિય કેસ છે.