5 વર્ષમાં 137 ભાગેડુને ભારત લવાયા, જાણો ક્યા મોટા આરોપી હવે ભારતની જેલમાં ?

નવી દિલ્હી : ભારતની અન્ય દેશો સાથેની મજબૂત પ્રત્યાર્પણ સંધીના પગલે સીબીઆઈ અલગ અલગ ગુનામાં દેશ છોડીને ભાગેલા ભાગેડુઓ પરત લાવવામાં સફળ રહી છે. જેમાં સીબીઆઈ છેલ્લા પાંચ વર્ષમાં 137 ભાગેડુઓને સફળતાપૂર્વક દેશમાં પરત લાવી છે. જેમાં વર્ષ 2010 થી 2019 દરમિયાન દાયકા દરમિયાન વિદેશથી પાછા લાવવામાં આવેલા ભાગેડુઓની સંખ્યા કરતા આ સંખ્યા બમણી છે.
વર્ષ 2025માં 23 ભાગેડુઓને પરત લાવ્યા
આ અંગે સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી વર્ષ 2025માં 23 ભાગેડુઓને પરત લાવ્યા છે. આ તમામ પ્રત્યાર્પણ કેન્દ્રીય એજન્સીઓના સંકલનના લીધે શક્ય બન્યું છે. જેના લીધે વર્ષ 2020 થી અત્યાર સુધી 137 ભાગેડુઓના પરત લાવવામાં આવ્યા છે. જયારે વર્ષ 2010 થી 2019ના દાયકા દરમિયાન આ સંખ્યા માત્ર 74 હતી.
ભારતપોલ દ્વારા ઇન્ટરપોલ સાથે સંકલન વધાર્યું
સીબીઆઈએ તેના નવા ડિજિટલ પોર્ટલ ભારતપોલ દ્વારા ઇન્ટરપોલ સાથે સંકલન વધાર્યું છે. જેનાથી ભાગેડુઓના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બની છે. એજન્સી દ્વારા આંતરિક રીતે વિકસાવવામાં આવેલ આ પ્લેટફોર્મ ભારતીય પોલીસ એજન્સીઓને સીબીઆઈ દ્વારા ઇન્ટરપોલ સાથે જોડે છે. તેમજ તપાસ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. સીબીઆઈએ જણાવ્યું કે આ ભાગેડુને ઝડપવા માટે ટેકનોલોજી અને રાજકીય પ્રયાસોનું પણ યોગદાન મહત્વનું છે. જેમાં ભારતનો અન્ય દેશો સાથેનો રાજકીય વ્યવહાર અને ઇન્ટરપોલ સાથે સમન્વય કરીને સફળતા મળી છે.
નિરવ મોદીના ભાઈ નેહલ મોદીની યુએસમાં અટકાયત
છેલ્લા એક વર્ષમાં PNB છેતરપિંડીની તપાસમાં ભાગેડુ નિરવ મોદીના ભાઈ નેહલ મોદીને વર્ષ 2025માં ભારતીય એજન્સીઓના પ્રયાસથી અમેરિકામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની અટકાયત નાણાકીય ગુનાના કેસોમાં યુએસ પ્રોસિક્યુટર્સ સાથે ગાઢ સહયોગનું મહત્વ દર્શાવે છે.
મોનિકા કપૂર અને તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ
જયારે બીજા કેસમાં મોનિકા કપૂરને આયાત-ડ્યુટી છેતરપિંડીના કેસમાં લગભગ બે દાયકાના કેસ બાદ યુએસમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે જોડાયેલા તહવ્વુર રાણાનું
ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય