અકેલે હૈ ચલે આઓ…ભોપાલમાં 103 વર્ષના વરરાજા લાવ્યા 49 વર્ષની વહુરાની

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રેકોર્ડ બન્યો છે. અહીં લગભગ વિશ્વના નહીં તો ભારતના સૌથી વૃદ્ધ વરરાજા મલી આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં રહેતા હબીબ નઝર ઉર્ફે મંઝલે મિયાંએ 103 વર્ષની ઉંમરે 49 વર્ષની ફિરોઝ જહાં સાથે લગ્ન કર્યા છે. સ્વતંત્રતા સેનાની હબીબે પોતાની ઉંમરના આ તબક્કે એકલતા દૂર કરવા માટે ત્રીજી વખત નિકાહ પઢ્યા છે. તેમના લગ્નનું કારણ તેમણે પોતાને સતાવતી એકલતા જણાવી છે. હાલમાં ઈન્ટરનેટ પર તેમના લગ્નની ખબર ધૂમ મચાવી રહી છે.
વાસ્તવમાં આ લગ્ન વર્ષ 2023માં થયા હતા પરંતુ તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ નિકાહ પર સૌની નજર પડે જ, કારણ કે આમાં વરની ઉંમર 103 વર્ષ અને કન્યાની ઉંમર 49 વર્ષ છે. ભોપાલ સ્થિત સ્વાતંત્ર્ય સેનાની હબીબ નઝરે 103 વર્ષની વયે 49 વર્ષીય ફિરોઝ જહાં સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ગયા વર્ષે થયા હતા પરંતુ રવિવારે કોઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
વાયરલ વીડિયોમાં હબીબ નઝર તેની દુલ્હન સાથે ઓટોમાં લગ્ન કરીને પોતાના ઘરે પરત ફરતા જોવા મળે છે. લોકો હબીબને અભિનંદન આપી રહ્યા છે અને હબીબ હસતા હસતા બધાનો આભાર માનતા જોવા મળી રહ્યા છે.
હબીબ નઝરે જણાવ્યું કે તેના પહેલા લગ્ન મહારાષ્ટ્રના નાસિકમાં અને બીજા લગ્ન ઉત્તર પ્રદેશના લખનઉમાં થયા હતા. પ્રથમ બેગમને કોઈ સંતાન નહોતું અને તે થોડાં વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. બીજી પત્નીથી સંતાન પ્રાપ્તિનું સુખ પણ તેને મળ્યું ન હતું અને તેનું પણ લગભગ 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. આ પછી, એકલતાથી ઝઝૂમી રહેલા વૃદ્ધે 49 વર્ષીય ફિરોઝ જહાંને કોઈના મારફતે પૈગામ મોકલાવ્યો હતો.
પહેલા તો ફિરોઝ જહાંએ ના પાડી હતી, પરંતુ બાદમાં તે વૃદ્ધની સેવા કરવા માંગતી હોવાથી તે તેની પત્ની બનવા સંમત થઈ હતી. ફિરોઝ જહાંના જણાવ્યા મુજબ, તે આ લગ્ન માટે સંમત થઈ હતી કારણ કે હબીબની સંભાળ રાખવા માટે કોઈ ન હતું. ફિરોઝ જહાં પોતે પણ પતિના મૃત્યુ બાદ એકલી છે. આમ બે એકલા હૃદય એક થઈ ગયા.