‘સત્યમ’ થિયેટરનું Reservation હવે જશે? મુંબઈના આ થિયેટર સાથે હવે આ થશે…
મુંબઈ: વરલીના સુપ્રસિદ્ધ થિયેટર ‘સત્યમ’ના સ્થળનું રિઝર્વેશન હવે ન રહે તેવી શક્યતા જણાઇ રહી છે. આ થિયેટર છેલ્લાં 29 વર્ષોથી બંધ હોવાને પગલે તેના અનામતનો હેતુ બદલાવવામાં આવે તેવી માગણી અરજી કરનારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
પાલિકાના વિકાસ નિયોજન વિભાગ દ્વારા ઉલ્લેખનીય છે કે વરલીમાં આવેલ ‘સત્યમ’, ‘શિવમ’, ‘સુંદરમ’ આ ત્રણેય થિયેટર આવેલા છે અને હવે તે ભૂતકાળ બની જાય તેવી શક્યતા છે. આ થિયેટરો માટેની જમીન મહાપાલિાકએ ભાડા કરાર પર આપી હતી અને આ ભાડા કરાર કરનાર કંપનીએ રિઝર્વેશનનો હેતુ બદલવામાં આવે તેવી વિનંતી મહાપાલિકાને કરી હતી. એ અનુસાર મહાપાલિકાએ એમઆરટીપી કાયદા અંતર્ગત અનામત બદલવાની નોટિસ જાહેર કરી છે. એ જ રીતે તેના પર લોકોના અભિપ્રાયો અને વાંધાઓ મોકલવાની સૂચના પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે.
આ વિશે વાત કરતા પાલિકાએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે ‘સત્યમ’ થિયેટરના રિઝર્વેશનનો હેતુ બદલવામાં આવતા પરિસરમાં લોકોના મનોરંજન પર કોઇપણ પરિણામ નહીં આવે. આ પરિસરમાં છેલ્લાં અમુક વર્ષોમાં બે મોટા થિયેટરો ઊભા કરવામાં આવ્યા છે. જેને પગલે આ જમીનના રિઝર્વેશનનો હેતુ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં નાગરિકોએ આ બાબતે પોતાની સૂચનાઓ અને ભલામણો વિકાસ નિયોજન વિભાગને આપવાની રહેશે.