પ્રવાસીઓની યાતનાઓનો અંત ક્યારે? 15 કોચની લોકલ ટ્રેન દોડાવવાની યોજના અભરાઈ પર કેમ ચઢી?

મુંબઈઃ મુમ્બ્રા સ્ટેશને બે ટ્રેનમાંથી પડતા ચાર પ્રવાસીનાં મોત થયા હતા, ત્યારબાદ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ અને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. પેન્ડિંગ પ્રોજેક્ટ હજુ પૂરા થતા નથી, તેમાંય પંદર કોચની ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ પૂરો થાય તો પ્રવાસીઓને રાહત થઈ શકે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે 900 કરોડનો પ્રોજેક્ટ અભરાઈ પર ચઢી ગયો છે.
2018માં જંગી રોકાણ સાથે યોજના ઘડી
2015માં વાયરલ થયેલા વીડિયોને પગલે ખતરનાક ભીડ અને અકસ્માતો અંગેના લોકોના રોષને કારણે 2018માં અંદાજિત ₹ 900 કરોડના રોકાણ સાથે 15 કોચના ટ્રેનની યોજના શરૂ થઈ હતી. પણ હમણાં જ ઘટેલી ટ્રેન દુર્ઘટના સુધી મધ્ય રેલવેમાં સ્થિતિ જૈસે થે રહી છે. પશ્ચિમ રેલવેની સરખામણીમાં વધુ જટિલ અને વધુ લાંબા રેલવે રૂટ હોવા છતાં મધ્ય રેલ્વેમાં મુસાફરોની સુવિધાઓ વધારવા તરફ સાવકું વલણ રખાઈ રહ્યું હોય તેવી લાગણી મુસાફરોમાં વ્યાપેલી છે.
મધ્ય રેલવે પશ્ચિમ રેલવેને પગલે ચાલી શકે
ટિટવાલા, અંબરનાથ અને બદલાપુર જેવા સ્ટેશનો પર પ્લેટફોર્મ મોટા કરવા, સિગ્નલિંગમાં ફેરફાર કરવા અને સ્ટેબલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉમેરવાની યોજનામાં વિલંબ થઈ રહ્યો છે. તેનાથી વિપરીત, પશ્ચિમ રેલ્વેમાં 210થી વધુ 15 કોચની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં 97 ફાસ્ટ લાઇન પર અને 114 ધીમી લાઈન પર ચલાવવામાં આવે છે. મુસાફરોની દલીલ છે કે જો પશ્ચિમ રેલવે સમાન પડકારોનો સામનો કરી શકે છે, તો મધ્ય રેલવેએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ.
પંદર કોચની સર્વિસ વધે તો ક્ષમતા વધે
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 15 ડબ્બાના રેકથી મુસાફરોની ક્ષમતામાં 25 ટકાનો વધારો થઇ શકે છે જે 3,504થી વધીને 4,380 થઈ જશે અને ભીડમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. જોકે, બાકી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ઓવરહેડ સાધનો અને સિગ્નલોના બાકી કામકાજના કારણે કલ્યાણથી આગળના મોટા ભાગના સ્ટેશનો લાંબી ટ્રેનો માટે અનુકૂળ નથી.
પેન્ડિંગ પ્રોજેક્ટના અપગ્રેડશનની અપેક્ષા
ગયા ઓક્ટોબરમાં પ્રકાશિત થયેલા એક અપડેટ પ્રમાણે મધ્ય રેલવેએ નાણાકીય વર્ષના અંત સુધીમાં થાણેથી આગળના તમામ ઉપનગરીય સ્ટેશનોને 15 ડબ્બાવાળી ટ્રેનો સમાવવા માટે અપગ્રેડ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. કલ્યાણ-બદલાપુર અને કલ્યાણ-આસનગાંવ ખાતે પ્લેટફોર્મ લંબાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં બદલાપુર-કર્જત અને આસનગાંવ-કસારા માટે યોજના છે – આ અપગ્રેડેશનથી 225,000 દૈનિક મુસાફરોને ફાયદો થવાની અપેક્ષા છે પણ હજી યોજનાથી આગળ કેટલી પ્રગતિ થઇ એ મોટો સવાલ છે.
સેન્ટ્રલમાં સ્ટેબલિંગ યાર્ડ માટે જમીનની જરુરિયાત
માળખાગત સુવિધાઓના નિષ્ણાતો ચેતવણી આપે છે કે H-પોલ સિગ્નલો ઉમેરવામાં અને ટ્રેકને સ્થિર કરવામાં વિલંબ મુસાફરોની સલામતી માટે જોખમી છે. દરમિયાન મધ્ય રેલવેએ CSMT ખાતે પ્લેટફોર્મ પાંચ અને છને વિસ્તૃત કરવા માટે જૂના બાંધકામોને તોડી પાડવાનું શરૂ કર્યું છે અને ભવિષ્યના સ્ટેબલિંગ યાર્ડ માટે અંબરનાથ અને બદલાપુર નજીક જમીન શોધી છે છતાં અમલીકરણમાં વિલંબ થઇ રહ્યો છે.
પશ્ચિમ રેલવેમાં 100થી વધુ રેકને બદલવાનો લક્ષ્યાંક
તેની સરખામણીમાં, પશ્ચિમ રેલવેમાં 2021માં અંધેરી અને વિરાર વચ્ચેના 27 સ્ટેશન પર આશરે ₹ 60-70 કરોડના ખર્ચે પ્લેટફોર્મ વિસ્તરણ પૂર્ણ થઇ ગયું હતું અને 2025ના અંત સુધીમાં 100 વધુ રેકને 15 ડબ્બામાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય છે.
પંદર કોચની સર્વિસમાં વધારવાથી ભીડ ઘટી શકે
મુસાફરોના સંગઠનોએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. એક મુસાફરે નોંધ્યું છે કે કસારા/કર્જત કોરિડોર પર 15 ડબ્બાની બે નવી સેવાઓ પણ ભીડ ઓછી કરી શકે છે – જોકે રેલવે અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું છે કે વધારાના ડબ્બા સમયપત્રક ખોરવી શકે છે. ચોમાસાની ઋતુમાં મોડી પડતી ટ્રેનો અને લાંબા રેકનો અભાવ મુસાફરોના આરામ અને સલામતી બંને માટે જોખમી છે. મધ્ય રેલવેના મુસાફરોને વચન નહિ, તાત્કાલિક ઉકેલની જરૂર છે.
આ પણ વાંચો…મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…