ખરી એનસીપી કોની? સુપ્રીમ કોર્ટ પહોંચી એનસીપીની લડાઇ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ખરી એનસીપી કોની? સુપ્રીમ કોર્ટ પહોંચી એનસીપીની લડાઇ

નવી દિલ્હી: ચૂંટણી પંચે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું ચિહ્ન અને નામ અજિત પવાર જૂથને સોંપ્યું એટલે કે ખરી એનસીપી અજિત પવાર જૂથ ગણાવી. હવે ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને અરજી દાખલ કરી ત્યારબાદ અજિત પવાર જૂથે પણ કેવિએટ અરજી દાખલ કરી છે. એટલે કે અસલી એનસીપી કઇ અને નકલી એનસીપી કઇ એ વિશેની લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલશે.

અજિત પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં કરેલી કેવિએટ અરજીમાં જણાવ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ શરદ પવારની અરજીની સુનાવણી હાથ ધરે તો પોતાનો એટલે કે અજિત પવાર જૂથનો પક્ષ પણ સાંભળે અને એક પક્ષની દલીલ સાંભળીને નિર્ણય ન લે.

સોમવારે શરદ પવારે વ્યક્તિગત ધોરણે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ અજિત પવારે પણ પોતાના વકીલ મારફત કેવિએટ દાખલ કરી હતી અને અરજી કરી હતી કે જો સુપ્રીમ કોર્ટ શરદ પવારની અરજીને માન્ય કરી તે વિશે કોઇપણ ફેંસલો લે તો તેમાં બીજા પક્ષની દલીલો પણ સાંભળવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે છઠ્ઠી ફેબ્રુઆરીએ ફેંસલો આપતા અજિત પવાર જૂથની એનસીપીને ચૂંટણી ચિહ્ન અને એનસીપી નામ ફાળવ્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ એનસીપીના સંસ્થાપક શરદ પવારને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યાર પછી તેમણે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી.

Back to top button