
વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પરિવારના ગઢ સમાન બારામતી માં ‘મારું નાણાં ખાતું રહેશે કે નહીં તે કહી શકાય તેમ નથી’, એવું નિવેદન કર્યું હોવાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
23મી સપ્ટેમ્બરે શનિવારે બારામતી તાલુકા સહકારી દૂધ સંઘના હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીની મુલાકાતે હતા. દરમિયાન તેમણે બારામતીમાં વિવિધ વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પછી તેણે એક કાર્યક્રમમાં કહ્યું, ‘આજે મારું ખાતું છે. તેથી આપણને ઝૂકતું માપ મળે છે, પરંતુ નાણાં ખાતું ટકી રહેશે કે નહીં તે કહી શકાય નહીં, એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
બારામતીમાં 42 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ શરૂ થયું છે. આ માટે બજાર સમિતિને 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મારો મતલબ છે કે, માર્કેટને જગ્યા આપતી વખતે હું મફત આપું છું, પરંતુ તેમની જગ્યા લેતી વખતે મેં 5 કરોડ આપ્યા, એમ તેમણે જણાવ્યું હતું.
છેવટે આપણી સંસ્થાઓ મજબૂત અને આર્થિક રીતે સક્ષમ હોવી જોઈએ. આજે મારું નાણાં ખાતું છે. આથી આપણે ઝૂકતું માપ મેળવીએ છીએ. પરંતુ, તે ટકી રહેશે કે નહીં, અમે કહી શકતા નથી. જોકે ખરીદ-વેચાણ સંઘ, દૂધ સંઘ, બારામતી બેંક, માલેગાંવ, સોમેશ્વર અને છત્રપતિ ફેક્ટરી પણ મજબૂત કરવી જોઈએ. જો ત્યાં ભૂલો હોય, તો તેને સુધારવી જોઈએ,” એમ તેમણે કહ્યું હતું.
તેમના આવા નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં નવાજૂની થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ચર્ચા થઈ રહી છે.
અજિત પવાર ને નાણાં ખાતું આપવાનો સૌથી વધુ વિરોધ શિંદે જૂથ દ્રારા કરવામાં આવ્યો હતો. શિંદે અને ૧૬ વિધાનસભ્ય સામે લટકતી અપાત્રતા ની તલવાર ને કારણે ત્યારે તેમને કદમ પીછે કરવું પડ્યું હતું. હવે ફરી તેમનો પ્રભાવ વધે તો પવારને નાણાં ખાતું છોડવાનો વારો આવી શકે છે.
શિંદે સહિત ૧૬ વિધાનસભ્ય અપાત્ર થાય તો પવારને મુખ્યપ્રધાન બનાવી નાખવામાં આવી શકે છે, આવી સ્થિતિમાં ભાજપ ગૃહ અને નાણાં ખાતું પોતાની પાસે રાખી શકે છે. આ બાબતે ચર્ચા વિચારણા થઈ હોય અને તેથી અજિત પવાર આવું બોલી ગયા હોય એવી અટકળો વહેતી થઇ છે.