આમચી મુંબઈ

મુંબઈમાં અઠવાડિયાથી પાણીની મોકાણ

ઉપનગર બાદ આજે દક્ષિણ મુંબઈમાં પાણી પુરવઠાને અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ગયા ગુરુવારે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પશ્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. પાઈપલાઈનના સમારકામને ૪૮ કલાકથી વધુ સમય બાદ બુધવારના પણ પશ્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો નહોતો. તેમાં હવે ગુરુવારે મલબાર હિલ જળાશય રિઝર્વિયરની નિષ્ણાતો મુલાકાત લેવાના છે, તેથી રિઝવિયરના કમ્પાર્ટમેન્ટ- બેને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈના કફ પરેડ સહિતના પાંચ વોર્ડમાં ગુરુવારે પાણીપુરવઠો બંધ રહેવાનો છે.

ગયા અઠવાડિયે સીપ્ઝ પાસે પાઈપલાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ થઈ ગયા બાદ તબક્કાવાર પાણીપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. છતાં અંધેરીના અનેક વિસ્તારમાં બુધવારે પણ પાણીપુરવઠો થયો ન હોવાથી નાગરિકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો મંગળવારે દહિસરમાં પાઈપલાઈનમાં થયેલા ગળતરથી પાણીપુરવઠાને અસર થઈ હતી. અઠવાડિયાથી પશ્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે, તેમાં હવે ગુરુવારે દક્ષિણ મુંબઈમાં પાણીપુરવઠાને અસર થવાની છે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી મલબાર હિલ જળાશયના પુન:બાંધકામનું કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામને કારણે ૩૮૯ ઝાડને અને મલબાર હિલ ટેકરી પરિસરને તેમ જ મુંબઈના પ્રખ્યાત હેગિંગ ગાર્ડનને પણ અસર થવાની છે. તેથી રિઝવિયરના પુન:બાંધકામ સામે સ્થાનિક નાગરિકો અને બિનસામાજિક સંસ્થાઓ વિરોધ કર્યો છે. તેથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈ.આઈ.ટી)ના પ્રોફેસર, સ્થાનિક નાગરિક અને પાલિકાના અધિકારીઓનો સમાવેશ રહેલી નિષ્ણાતોની સમિતિ સ્થાપવામાં આવી છે. આ સમિતિ ગુરુવાર સવારના ૮થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ બેનું નિરીક્ષણ કરવાના છે.

મલબાર હિલ મેઈન રિઝર્વિયરમાં પાંચ કમ્પાર્ટમેન્ટ છે. તેમાંથી નિષ્ણાતોની પેનલ કમ્પાર્ટમેન્ટ બેનું અંદરથી નિરીક્ષણ કરવાના છે. તે માટે રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવવાનું છે. તેથી આ કમ્પાર્ટમેન્ટમાંથી દક્ષિણ મુંબઈના જે પાંચ વોર્ડને પાણીપુરવઠા કરવામાં આવે છે, તેને અસર થશે. અમુક ઠેકાણે પાણીનું દબાણ ઓછું રહેશે. આ સમય દરમિયાન જળાશયના પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને આવશ્યકતા મુજબ વોર્ડ સ્તરે પાણી પુરવઠાનો સમય પણ બદલવામાં આવશે એવું પાલિકાએ જાહેર કર્યું છે.

આ વિસ્તારોને થશે અસર
કફ પરેડ અને આંબેડકર નગરમાં નિયમિત પાણીપુરવઠાનો સમય સવારના ૧૧.૨૦ વાગ્યાથી બપોરના ૧.૪૫ વાગ્યાનો છે. આ ઠેકાણે પાણીપુરવઠો ૧૦૦ ટકા બંધ રહેશે. નરિમન પોઈન્ટ અને જી.ડી. સોમાણી માર્ગમાં નિયમિત પાણીપુરવઠાનો સમય બપોરના ૧.૪૫ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો છે. આ વિસ્તારમાં ૫૦ ટકા પાણીકાપ રહેશે. મિલિટ્રી ઝોન વિસ્તારમાં ૩૦ ટકા, ૨૦ ટકા પેડર રોડ તો ફોર્ટ, ચર્ચગેટ, મરિન લાઈન્સ, ધારાવીમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. એ સિવાય દાદર પશ્ચિમ , ધારાવી અને માહિમ, વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી, એલ્ફિન્સ્ટનની પશ્ચિમ તરફના વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.

સમારકામ માટે સાત વર્ષ લાગશે
દક્ષિણ મુંબઈને પાણીપુરવઠો કરનારા મલબાર હિલના ૧૩૮ વર્ષ જૂના જળાશયનું પુન:બાંધકામ કરવામાં આવવાનું છે. જળાશયના સમારકામની સાથે જ જળાશયની ક્ષમતા ૧૪૭.૭૮ મિલિયન લિટર પરથી ૧૯૧ મિલિયન લિટર સુધી વધારવાની છે. આ પ્રોજેક્ટની કિંમત ૬૯૮ કરોડ ૫૦ લાખ રૂપિયા છે. આ કામ સાત વર્ષમાં તબક્કાવાર કરવામાં આવવાનું હોવાથી તે ૨૦૨૯ સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે.


પુન:બાંધકામ કે નવું બંધાશે?
મલબાર હિલ રિઝર્વિયરનું સમારકામ કરવું કે તેનું પુન:બાંધકામ કરવું તે માટે તાજેતરમાં પાલિકાએ નાગરિકો પાસેથી તેમ જ નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મગાવ્યા હતા. આ સલાહ-સૂચનનો કમિટિ અભ્યાસ કરશે અને અહેવાલ સબમીટ કરશે. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. અસ્તિત્વમાં રહેલા મલબાર હિલ જળાશયનું સમારકામ થઈ શકે કે નહીં તેમ જ નવેસરથી બાંધવું પડે તો પાણીપુરવઠાને અસર નહીં થતા તબક્કાવાર કામ કરી શકાય કે નહીં તેનો અભ્યાસ પણ નિષ્ણાતોએ કરવો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…