શનિવારે પણ કફ પરેડ, કોલાબા જેવા વિસ્તારમાં રહેશે પાણીના ધાંધિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મંત્રાલયના સામેના રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. રસ્તાની નીચે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે રસ્તો પણ ધસી પડયો હતો.
પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામને કારણે શનિવારે પણ દક્ષિણ મુંબઈના પોશ વિસ્તાર ગણાતા કોલાબા અને કફ પરેડમાં પાણીપુરવઠો બંધ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ ચર્ચગેટમાં મંત્રાલયના પ્રવેશદ્વાર એક સામે મેડમ કામ રોડ પર ૬૦૦ મીમી ડાયામીટરની પાઈપલાઈનમાં સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ભંગાણ પડ્યું હતું.
પાઈપલાઈનમાં થઈ રહેલા ગળતરને કારણે મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર આવી ગયું હતું. ભારે માત્રામાં પાણીનું ગળતર થવાને કારણે રસ્તો પણ ધસી પડયો હતો, તેને કારણે ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તે માટે ચર્ચગેટ, કોલાબા સહિતના વિસ્તારમાં તેમ જ મંત્રાલય, વિધાનભવન સહિતની અનેક સરકારી ઓફિસમાં પાણીની મોકાળ થઈ ગઈ હતી.
આ વિસ્તારમાં અનેક સરકારી અને ખાનગી ઓફિસ હોવાને કારણે આખો દિવસ પાણીની તકલીફ રહી હતી. પાણીપુરવઠા વિભાગ દ્વારા મોડે સુધી પાઈપલાઈનનું સમારકામ ચાલ્યું હતું.
પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા આજે પણ દક્ષિણ મુંબઈના પોશ વિસ્તાર ગણાતા કફ પરેડ, કોલાબા, ગીતા નગર, જી.ડી. સોમાણી રોડ, કોલાબા કોલીવાડા, જેવા વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. સમારકામ બાદ તબક્કાવાર પાણીપુરવઠો ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચો…વોર્ડ રચનાના ડ્રાફ્ટ પરના સૂચનો-વાંધાની સુનાવણી પૂરી