વિપક્ષી નેતાનો નિર્ણય લેવામાં વિલંબ થવામાં કોઈ નુકસાન નથી: સ્પીકર નાર્વેકર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે મંગળવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ને વિરોધ પક્ષના નેતાનો દાવો કરનારો પત્ર રજૂ કરવામાં જ ત્રણ મહિનાથી વધુનો સમય લાગ્યો છે, તેથી નિર્ણય લેવામાં તેઓ થોડો સમય લે તો પણ કોઈ ફરક પડતો નથી.
શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવનું નામ વિરોધ પક્ષના નેતાના પદ માટે સ્પીકરને આપવામાં આવ્યું છે, તેમણે આ બાબતે નિર્ણય લેવામાં વિલંબ પર નારાજી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
ગૃહે મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈને ટોચના પદ પર નિમણૂક બદલ અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કર્યા પછી જાધવે આ મુદ્દો ઉઠાવ્યો હતો. નાર્વેકરે કહ્યું હતું કે વર્તમાન વિધાનસભા 24 નવેમ્બર, 2024ના રોજ અસ્તિત્વમાં આવી હતી અને તેનું પહેલું સત્ર ગયા વર્ષે સાતમી ડિસેમ્બરે બોલાવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: રાહુલ નાર્વેકરે અગાઉ પણ ગેરબંધારણીય સરકાર ચલાવવામાં મદદ કરી હતી: આદિત્ય ઠાકરે
‘વિપક્ષના નેતાની નિમણૂક માટે મને પત્ર મોકલવામાં તેમને સાડા ત્રણ મહિના લાગ્યા હતા. નિર્ણય લેવામાં અઢી મહિના લાગે તો પણ કોઈ ફરક પડતો નથી,’ એમ નાર્વેકરે મંગળવારે જણાવ્યું હતું. 288 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) સહિત વિપક્ષી પક્ષોની સંયુક્ત સંખ્યા લગભગ 50 છે.
શિવસેના (યુબીટી) પાસે 20 વિધાનસભ્ય છે, એમ પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું. ભૂતકાળમાં, 10 ટકા બેઠકો જીતી શક્યા ન હોવા છતાં વિરોધ પક્ષોને વિપક્ષી નેતાનું પદ આપવામાં આવતું હતું, એમ તેમણે કહ્યું હતું.
જો ધારાસભ્યોની સંખ્યા ઓછી હોય, તો પણ બંધારણમાં એવો કોઈ કાયદો કે જોગવાઈ નથી કે જે કહે કે ગૃહ વિપક્ષી પક્ષ વિના કાર્ય કરે, એમ તેમણે ઉમેર્યું હતું.