હાશકારો! આખરે શનિવારે વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારા બ્રિજ ખુલ્લો મુકાશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર કરી જાહેરાત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બહુપ્રતિક્ષિત વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો બ્રિજ આવતી કાલે એટલે કે શનિવાર, ૧૩ જૂનના રોજ સાંજે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાનો છે. બાંધકામ ચાલુ થવાના સાત વર્ષ બાદ આ બ્રિજ તૈયાર થયો છે. કોઈ પણ જાતનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન નહીં કરતા શનિવારે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સોશિયલ મિડિયા પર કરી હતી.

નવો બાંધવામાં આવેલો પૂલ વિક્રોલી પૂર્વમાં રહેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પશ્ર્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ(એલબીએસ) સાથે જોડે છે. વિક્રોલી રેલવે સ્ટેશન પાસે રેલવે પાટા પર બાંધવામાં આવેલા પુલની પહોળાઈ ૧૨ મીટર તો લંબાઈ ૬૧૫ મીટર જેટલી છે, તેમાથી ૫૬૫ મીટરનો પુલનો હિસ્સો પાલિકાએ બાંધ્યો છે. તો બાકીનો ૫૦ મીટર લંબાઈ સુધીનો ભાગ મધ્ય રેલવેએ બાંધ્યો છે. પૂલ પર ચાર લેન અને ફૂટપાથ હશે.

આ પૂલને કારણે વિક્રોલી પૂર્વ-પશ્ર્ચિમની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પ્રવાસનાં સમયમાં ૩૦ મિનિટની બચત થશે. નોંધનીય છે કે આ ભારતનો સૌથી લાંબો રેલવે ઓવરબ્રિજ હશે, જેમાં સક્રિય રેલવે ટ્રેક પર ઓપન-વેબ ગર્ડર સિસ્ટમ હશે.
વિક્રોલીમાં આ પુલ બાંધવા માટે ૧૯૯૭ની સાલથી યોજના બનાવવામાં આવી રહી છે પણ હકીકતમાં પુલનું બાંધકામ છેક ૨૦૧૮ની સાલથી શરૂ થયું હતું. શરૂઆતમાં પુલનો અંદાજિત ખર્ચ ૭૦ કરોડ રૂપિયા હતો પણ કામ સતત વિલંબમાં મૂકાવાને કારણે તેનો ખર્ચ વધીને ૧૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
