‘નેહરુને વડા પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી,’ કોંગ્રેસના નેતાઓ સમક્ષ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કૉંગ્રેસી નેતાઓની સામે એવું નિવેદન કર્યું હતું કે ખરેખર જવાહરલાલ નહેરુને વડ પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી.
જનસુરક્ષા કાયદાને રદ કરવાની માગણી સાથે ગુરુવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે વિવિધ પક્ષો અને સંગઠનોનું રાજ્યવ્યાપી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘ભાજપના લોકો સ્વતંત્રતા ચળવળમાં સામેલ નહોતા. તેઓ સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં સામેલ નહોતા. હવે તેઓ ટેકરી પર ગધેડા જેવા બેઠા છે અને તેઓ અપેક્ષા રાખે છે કે લોકો તેમને દૂધ પીવડાવશે,’
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ: ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેમ થાય તે બતાવ્યું’
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, ‘ભાજપે ક્યારેય આદર્શો સ્થાપિત કર્યા નથી. તેણે વિચારો બનાવ્યા નથી. તેથી જ તેઓ બીજાના આદર્શો ચોરી કરવાનું કામ કરે છે, પછી જો કશું અલગ રીતે થાય છે, તો તેઓ કહે છે કે તે નેહરુના સમયમાં થયું હતું. જે લોકો નેહરુને દોષ આપે છે તેઓ છેલ્લા 11 વર્ષથી સત્તામાં છે. તો એ લોકો શું કરી રહ્યા છે. શું કશું નોંધપાત્ર કરી શક્યા છો?’
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે પોતાના ભાષણમાં એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે જો નહેરુને બદલે સરદાર વલ્લભભાઈ પટેલ વડા પ્રધાન બન્યા હોત…, તેમના મુદ્દાનો દોર પકડતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું સપકાળના નિવેદન સાથે સંપૂર્ણપણે સંમત છું. મહાત્મા ગાંધી કે બીજા કોઈએ પણ નહેરુને વડા પ્રધાન બનાવીને ભૂલ કરી હતી. જો સરદાર વલ્લભભાઈ વડા પ્રધાન બન્યા હોત, તો આજે સંઘ દેખાતો ન હોત.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ
વલ્લભભાઈ પટેલે સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પ્રતિબંધ હટાવવામાં આવ્યો ન હોત. ભાજપે સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા ઉભી કરી. આની સાથે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ ઉભી થવા જઈ રહી હતી, પરંતુ તેમના સંબંધીઓએ તેનો વિરોધ કર્યા પછી, તેમણે પીછેહઠ કરી હતી.