ઉદ્ધવે એમવીએની એકતા પર સવાલ ઉઠાવ્યા
‘વિધાનસભાની ચૂંટણીમાં હાર માટે અહંકાર અને બેઠકોની વહેંચણીમાં વિલંબ જવાબદાર’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં અને ઉમેદવારોની પસંદગીમાં વિલંબ જેવી ભૂલોનું પુનરાવર્તન થાય તો મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં એમવીએના પ્રભાવશાળી પ્રદર્શન પછીનો ઉત્સાહ વ્યક્તિગત અહંકારમાં ફેરવાઈ ગયો હતો જે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ પૂરતી જીત મેળવવા પર કેન્દ્રિત થઈ ગયો હતો, જે આખરે સામુહિક પરાજય તરફ દોરી ગયો હતો.
સેના (યુબીટી)ના મુખપત્ર સામનાના ઈન્ટરવ્યૂમાં, ઠાકરેએ ખેદ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની ચૂંટણી વખતે તેમના પક્ષે અગાઉ ઘણી વખત જીતેલા મતવિસ્તારો તેના એમવીએના ભાગીદારોને આપવા પડ્યા હતા.
‘(વિધાનસભા ચૂંટણી દરમિયાન) બેઠકની વહેંચણીની વાતચીત છેલ્લી ઘડી સુધી ચાલી હતી. (એમવીએના ભાગીદારો વચ્ચે)ના ઝઘડાએ લોકોમાં આઘાડી વિશે ખોટો સંદેશ આપ્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.
મતદાન ચાલુ થઈ ગયા પછી કેટલાક મતવિસ્તારોમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા, એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને યાદ કરાવ્યું હતું.‘આ એક મોટી ભૂલ હતી જેને હવે સુધારવી પડશે. જો ભવિષ્યમાં આવી ભૂલો થવાની હોય તો સાથે રહેવાનો કોઈ અર્થ નથી,’ એમ ઠાકરેએ કહ્યું હતું.