બે અઠવાડિયામાં રાજ-ઉદ્ધવની બીજી મુલાકાત: મુંબઈ મનપાની ચૂંટણી અંગે ત્રણ કલાકની બેઠકમાં ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સવારના અચાનક દાદરના શિવાજી પાર્કમાં આવેલા રાજ ઠાકરેના બંગલાની મુલાકાત લીધી હતી. તેથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બંને ભાઈઓ સાથે મળીને લડશે એવી રાજકીય સ્તરે ચર્ચાએ ફરી જોર પકડયું છે. જોકે આ મુલાકાત રાજકીય હેતુથી નહીં પણ પારિવારિક હોવાનો દાવો ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કરવામાં આવ્યો હતો અને બુધવારે મોડે સુધી બંને ભાઈઓએ યુતી વિશે કોઈ નિર્ણય લીધો કે નહીં તે બાબતે સત્તાવાર રીતે કોઈ માહિતી હાથ લાગી નહોતી.
મહારાષ્ટ્રના રાજકરણમાં પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે શું ફરી એક થશે ? શું બંને ભાઈઓ સાથે મળીને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે? એવા સવાલો વચ્ચે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે એકજૂટ થઈને ચૂંટણી લડવા માટે શિવસેના અને મનસે વચ્ચેના ભેદભાવ દૂર કરીને યુતી કરવાના ઈરાદે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ બુધવારે ફરી એક વખત એકબીજાને ભેંટ્યા હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: આગામી દિવસોમાં પણ મરાઠી મુદ્દે હુમલા ચાલુ રહેશે એવી ઉદ્ધવની ચેતવણી
બુધવારે સવારના રાજ ઠાકરેના શિવાજી પાર્કમાં આવેલા શિવતિર્થ બંગલા પર ઉદ્ધવ ઠાકરે ગયા હતા, તેમની સાથે સંજય રાઉત અને અનિલ પરબ પર જોડાયા હતા. તો મનસે તરફથી સંદીપ દેશપાંડે અને બાળા નાંદગાવકર ઉપસ્થિત હોવાનું માનવામાં આવે છે. થોડા દિવસ અગાઉ જ રાજ ઠાકરેના ઘરે ગણપતિના દર્શન માટે ઉદ્ધવ ઠાકરે સહપરિવાર ગયા હતા. એ અગાઉ રાજ ઠાકરે પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવના જન્મદિવસે તેમને બાન્દ્રા સ્થિત માતોશ્રી બંગલા પર ગયા હતા. જોકે બુધવારે પહેલી વખત કોઈ તહેવાર કે કાર્યક્રમ વગર બંને ભાઈઓ એકબીજાને મળ્યા હતા. કલાકથી પણ વધુ સમય સુધી બંને વચ્ચે ચર્ચા ચાલી હતી.
રાજકીય સૂત્રોના કહેવા મુજબ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત મુુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે ચર્ચા કરવા માટે હતી. આ મુલાકાત દરમ્યાન મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કઈ રણનિતીને અમલમાં મૂકવી તે બાબતે વિસ્તૃત તર્તા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બંને પિતરાઈઓ આ બેઠક બાદ તેમના પક્ષ વચ્ચે યુતિ કરવા બાબતે કોઈ જાહેરાત કરવામાં આવશે એવું માનવામાં આવતું હતું પણ ઉદ્ધવ ઠાકરે તરફથી તેઓ રાજ ઠાકરેના માતા કુંદા ઠાકરે જે તેમના માસી થાય છે તેમને મળવા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું.